પતિ -પત્ની વચ્ચેનાં મતભેદોના લીધે બાળકને હેરાન ન થવા દેવાય: સુપ્રીમ
નવીદિલ્હી, પતિ-પત્નીના મતભેદોના કારણે તેઓના બાળકને હેરાન-પરેશાન થવા દેવાય નહીં એવું અવલોકન વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેસના એક પક્ષકાર એવા આર્મી ઓફિસરને તેમનો ૧૩ વર્ષનો પુત્ર જ્યાં સુધી પુખ્ત વયનો ના થાય ત્યાં સુધી ખાધા-ખોરાકી અને તેના શિક્ષણની સંપૂર્ણ કાળજી લેવાનો આદેશ કર્યો હતોઆ આર્મી ઓફિસરના દાંપત્ય જીવનને ફોક થયેલુ જાહેર કરતાં ન્યાયમૂર્તી સર્વ એમ.આર શાહ અને એ.એસ બોપન્નાની બેન્ચે આર્મી ઓફિસરને તેની પત્નીને ખાધા-ખોરાકી પેટે દર મહિને રુ. ૫૦ હજાર ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
ફરિયાદી પત્ની અને પ્રતિવાદી આર્મી ઓફિસર ૨૦૧૧ ની સાલથી જુદા રહે છે તે વાસ્તવિકતાને કેન્દ્રમાં રાખતાં તેઓનું દાંપત્ય જીવન સમાપ્ત થયેલું ગણવામાં આવે છે એમ બેન્ચે કહ્યું હતું. આ કેસમાં એ વાતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે કે પતિએ બીજા લગ્ન કરી લીધા છે તેથી ફરિયાદી પત્ની દ્વારા મૂકાયેલા ક્રૂરતાના અને ફરજભંગના આરોપો અંગે નીચલી કોર્ટ દ્વારા જે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે તેમાં ઉંડા ઉતરવાનો કોઇ હેતુ રહેતો નથી એમ કોર્ટે કહ્યું હતું.
આ કેસના તથ્યો અને સંજાેગો ઉપરાંત બંધારણના અનુચ્છેદ ૧૪૨ અંતર્ગત અપાયેલી સત્તાના ઉપયોગને ધ્યાનમાં લેતાં અને બંનેનું દાંપત્ય જીવન હવે સમાપ્ત થઇ ગયું છે તે બાબતને ધ્યાનમાં લેતાં ફેમિલિ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદામાં હત્સક્ષેપ કરવાની હવે કોઇ જરુર રહેતી નથી એમ કોર્ટે કહ્યું હતું.
તેમ છતાં પતિ તેનો ૧૩ વર્ષનો પુત્ર પુખ્તવયનો ના થાય ત્યાં સુધી તેની ખાધા-ખોરાકી અને તેના શિક્ષણની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કેમ કે પતિ અને પત્નિ વચ્ચે જે કોઇ મતભેદ હોય તે તેના સ્થાને બરાબર છે પરંતુ બાળકને તેઓના મતભેદનો ભોગ બનાવી શકાય નહીં એમ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.HS