પરીક્ષા બાદ કોરોના થનારા વિદ્યાર્થીને ૧ લાખની સહાય

Files Photo
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના ૧૫ દિવસો દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો ૧ લાખ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લીધો છે. ૨૫ જુલાઈથી શરૂ થઈ રહેલી છેલ્લા વર્ષની પરીક્ષામાં અંદાજે ૧૪,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શકે છે.
લોકડાઉનના કારણે આ પરીક્ષાને પાછળ કરવામાં આવી હતી. મેડિકલ, પેરામેડિકલ તથા તમામ પોોસ્ટ-ગેજ્યુએટ કોર્સની પરીક્ષા ૪ ઓગસ્ટથી શરૂ થશે અને ૧૦ ઓગસ્ટે ખતમ થશે. યુનિવર્સિટી કોરોના સંક્રમિત થનારા વિદ્યાર્થીઓને તેમના જિલ્લામાં હોસ્પિટલની સારવારની વ્યવસ્થા કરી આપશે અને દવાઓ તથા હોસ્પિટલ કે કોવિડ કેર સેન્ટરમાં રહેવાના તમામ ખર્ચની ભરપાઈ કરશે. સ્કીમ માટે બનાવવામાં આવેલી હેલ્થ સપોર્ટ કમિટીમાં જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પર ક્લેઈમ પાસ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય દેસાનીએ કહ્યું, સહાય કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ લાવવા માટે છે, જેથી તેઓ પરીક્ષા આપી શકે. પરીક્ષા કેન્દ્રોમાં પણ વધારો કરાયો છે અને સીટિંગની વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને કરાઈ છે. તેઓ કહે છે, સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્રના એક બ્લોકમાં ૩૦ વિદ્યાર્થીઓની વ્યવસ્થા હોય છે, પરંતુ કોરોનાની સ્થિતિને જોતા અમે માત્ર ૧૫ વિદ્યાર્થીઓને જ એક બ્લોકમાં પરમીશન આપીશું. મહામારી દરમિયાન પરીક્ષા લેવાના નિર્ણયનો વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો હતો,
જે બાદ મંગળવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. સહાયની રકમ તેવા વિદ્યાર્થીઓને અપાશે જેઓ પરીક્ષામાં હાજર થયાના ૧૫ દિવસ દરમિયાન કોરોના સંક્રમિત થાય છે. પરીક્ષા કેન્દ્ર માટેની કોલેજના તમામ રૂમો એક દિવસની પરીક્ષા બાદ સેનિટાઈઝ કરાશે અને પરીક્ષાના સમય દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત હશે. પરીક્ષા હોલમાં આવતા વિદ્યાર્થીઓનું તાપમાન ચકાસવા માટે કોલેજોએ થર્મલ ગનનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ખરાબ સ્વાસ્થ્ય અથવા થર્મલ ગનથી સ્ક્રિનિંગ બાદ પરીક્ષા આપવા માટે ફીટ નહીં હોય તેમને એક મહિના બાદ યોજાનારી પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવશે.