પાલનપુર ખાતે સ્વ સહાય જૂથોની મહિલાઓને સર્ટીફિકેટ વિતરણ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર) આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વન જીપી વન બીસી તાલીમ મેળવેલ સ્વ સહાય જૂથોની મહિલાઓને સર્ટીફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઈ. શેખના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં નિયામકશ્રીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, આઝાદી કા અમૃત મહોત્સવના પ્રસંગે એનઆરએલએમ મારફતે બહેનોને સ્વાવલંબી બનાવવા માટે બીસી સખી તરીકે દરેક બહેન ઉત્તમ કામ કરીને વધુને વધુ આવક મેળવતા થાય એ તરફ સૌએ આગળ વધવુ જરૂરી છે.
ગ્રામ્ય કક્ષાએ બિઝનેશ કોરોસ્પોન્ડસ તરીકે મહિલાઓએ વધુને વધુ કામગીરી કરવા ડેરી, નાના મોટા ઔધોગિક એકમના કામદારો સુધી સેવાઓ પહોંચાડી આર્થિક ફાયદો કેવી રીતે થાય એ બાબતે તેમણે સુંદર માર્ગદર્શન આપ્?યું હતુ.
સ્વ સહાય જુથો અને ડીઆરડીએ મારફતે મળતી સહાયથી મહિલાઓનું જીવનધોરણ ઉંચુ લાવવા તરફ તમામે ભૂમિકા ભજવવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એલ.ડી.એમ.શ્રી પી. આર. મીણા, આરસેટીના નિયામકશ્રી કમલેશ ભાસ્કર અને ડીએલએમ રમેશ પતાળિયાએ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યુ હતું.
કાર્યક્રમમાં ૨૨ બીસી સખીને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુદર આયોજન ડીઆરડીએ અને આરસેટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં એપીએમશ્રી નિકુંજ પરમાર સહિત સખીમંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.