પિતાએ ઠપકો આપતા પુત્રનો તાપીમાં મોતનો કૂદકો

સુરતમાં પિતાને ઠપકો આપવો ભારે પડ્યો
૨૧મીએ જેનીશ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી પડ્યો હતો, ત્યારબાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
સુરત,આજકાલના બાળકોને ઠપકો આપવા પણ માતા પિતા માટે અઘરું બની રહ્યું છે. ખરાબ સંગતના કારણે પોતાના બાળકોને માતા-પિતા ઠપકો આપે તે સ્વાભાવિક છે. પરંતુ આજની પેઢી માઠું લગાડીને ઉંધા પગલા ભરી રહ્યું છે. આવો જ એક કિસ્સો આજે સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં ધોરણ.૧૨ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને આપઘાતનું કારણ પણ ખરાબ સંગત છે.
આ ઘટનામાં પિતાએ પોતાના બાળકની ખરાબ સંગત અંગે ઠપકો આપ્યો હતો. જેણા કારણે દીકરાને માઠું લાગતા તેણે તાપીમાં મોતનો ભૂસકો માર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ચોરી કેસ બાબતે પોલીસે પૂછપરછ માટે દીકરાને બોલાવ્યો હતો. જેણા કારણે પિતાએ ખરાબ સંગતને છોડવાનું કહેતાં માઠું લાગી આવ્યું હતું. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રામાં રહેતા જેનીશે તાજેતરમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી.
ગત તા.૨૧મીએ જેનીશ ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી પડ્યો હતો. ત્યારબાદ રવિવારે તેના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પછી પોલીસે શોધખોળ શરૂ કરી ગતી. તેમાં સોમવારે સવારે કોઈ રસ્તે જઈ રહેલા વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને નાના વરાછા, ચીકુવાડી નવા બ્રિજ નીચે નદીમાં લાશ તણાઈ આવી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ફાયરબ્રિગેડની મદદથી નદીમાંથી લાશ કાઢી હતી. પોલીસે લાપતા જેનીશના પરિવારજનોને બોલાવી લાશ દેખાડી હતી. જે લાશ જાેતા પરિવારજનો ભાંગી પડ્યા હતા અને પોલીસે દેખાડેલી લાશ પોતાના પુત્રની હોવાનું ખૂલ્યું હતું. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન જેનીશે આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. જાેકે, તેના આપઘાત પાછળ કોઈ ચોક્કસ જાણી શકાયું નથી.
મૃતક દીકરાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારો દીકરો જ્યારે ઘરેથી નીકળ્યો તેના બે -ત્રણ દિવસ પહેલા વાહન ચોરીની શંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ માટે બોલાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે થોડી ઘણી પુછપરછ કરીને તેણે જવા દીધો હતો. આ વાતને લઈને પરિવારમાં ખરાબ સંગતને લઈને ઠપકો આપ્યો હતો. જેથી જેનીશને માઠું લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.SSS