પિતાએ લગ્નની ના પડતા પ્રેમિકાએ છરકા માર્યા, પ્રેમીએ ફિનાઇલ પીધું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Mask-Western1-1024x768.jpg)
સારવાર અર્થે હોસ્પિટલમાં-પિતા બન્નેના પ્રેમ સંબંધથી નારાજ હોય તેમજ લગ્નની ના પાડતાં આત્મહત્યા સુધીનું પગલું ભરી લીધા હોવાનું કહ્યું
રાજકોટ, આપણા સમાજમાં અવારનવાર પ્રેમી પંખીડાઓના આપઘાતના બનાવો સામે આવતા રહેતા હોય છે. ક્યારેક જ્ઞાતિ એક ન હોવાના કારણે તો ક્યારેક પરિવાર પોતાની ઈજ્જત ખાતર હજુ પણ પ્રેમ લગ્નને સ્વીકારતા નથી, જેને પગલે પ્રેમીપંખીડાઓ જન્મો જન્મ માટે એક ન થવાના કારણે આપઘાત કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો.
આ બનાવ અંતર્ગત રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાક્રિષ્ન સોસાયટીમાં રહેતા હિરેન અશોકભાઈ ડોડીયા નામના યુવાને ફિનાઈલ પી લીધાનો બનાવ સામે આવ્યો હતો.
મળતી માહિતી મુજબ હિરેન ડોડીયાએ પોતાના ઘરે ફિનાઈલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ પણ હોસ્પિટલે દોડી ગઇ હતી. હોસ્પિટલ પર પહોંચેલી પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર હિરેન ડોડીયા તેમજ તેના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા.
પોલીસ પૂછપરછમાં હિરેન સોની કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ ટેબલ રોડ પર આહિર ચોક પાસે રહેતી તેમની જ જ્ઞાતિની એક યુવતી સાથે છેલ્લા બે મહિનાથી તેને પ્રેમ સંબંધમાં હોવાનું જણાવ્યું હતું. પિતા બન્નેના પ્રેમ સંબંધથી નારાજ હોય તેમ જ લગ્નની ના પાડતાં પોતે જીવન ટૂંકાવવા સુધીનું પગલું ભરી લીધા હોવાનું જણાવ્યું હતું.
તો બીજી તરફ મા બાપથી નારાજ કોમલે પણ ૧૦ દિવસ પહેલા પોતાની જાતે જ પોતાના શરીર પર છરકા માર્યા હોવાનું હિરેને પોલીસને જણાવ્યું હતું. આમ, બંને પ્રેમી પંખીડાએ એક્મેક ન થઇ શકતા પોતાની જ જાત ને દુઃખ આપવાના પ્રયત્નો શરૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોમલના પિતા હિરેન અને કોમલ ના પ્રેમ સંબંધને લગ્ન સંબંધ માટેની મંજૂરી આપે છે કે કેમ તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે.