પેશાવર: નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 36 લોકોનાં મોત
પેશાવર, પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારે મસ્જિદમાં આત્મઘાતી બોમ્બવિસ્ફોટ થયો છે. આ હુમલામાં 36 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે, જેમાં 10 લોકોની હાલત ગંભીર છે.
આ વિસ્ફોટ પેશાવરના કોચા રિસાલદાર વિસ્તારમાં આવેલી મસ્જિદમાં થયો છે. પેશાવરના શહેર પોલીસ અધિકારી ઈજાઝ અહસનના જણાવ્યા મુજબ, 36 મૃતદેહને હોસ્પિટલમાં લવાયા છે. એક પોલીસ ઓફિસરનું પણ મોત થયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, બે હુમલાખોર મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં હાજર બન્ને પોલીસમેને તેમને પડકાર્યા હતા અને ફાયરિંગ થયું હતું. એમાં એક પોલીસમેનનું પણ મોત થયું હતું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે.
ત્યાર બાદ આ હુમલાખોરોએ મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો હતો. નજરે જોનારનું કહેવું હતું કે આ પ્રચંડ વિસ્ફોટ હતો, જ્યારે મેં આખો ખોલી તો ચારેબાજુ ધૂળની ડમરીઓ અને લોકોના મૃતદેહો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
રેસ્ક્યૂ ટીમ ઘાયલોને નજીકની લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ ગઈ છે. સ્થાનિક લોકોએ પણ ઘાયલોને પોતાની બાઈક અને કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.