પ્રતિ વર્ષ અમદાવાદના જ રસ્તા કેમ તૂટે છે, ગાંધીનગર “વી.આઈ.પી.” માર્ગ કેમ નહી?
કોન્ટ્રાકટરોની કામની ગુણવત્તામાં આટલો મોટો ફરક કેમ?
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ- રસ્તા તૂટી જાય છે ડીસ્કો રસ્તાને કારણે સામાન્ય પ્રજા ત્રાહીમામ પોકારી જતી હોય છે. વહીવટી તંત્ર લીંપાપોતી કરીને રસ્તાઓને રીપેર કરે છે પરંતુ ફરીથી રસ્તાઓ તૂટતા જાેવા મળે છે આવુ પ્રતિવર્ષ થાય છે તે સૌ કોઈએ જાેયુ છે.
બીજી તરફ જુદા-જુદા ડીપાર્ટમેન્ટવાળા ગમે ત્યારે ખોદકામ કરીને સારા રોડને ડેમેજ કરી નાંખતા હોય છે. આવા સંજાેગોમાં રોડ-રસ્તાઓના રીપેરીંગ પાછળ વર્ષે દહાડે લાખો- કરોડો રૂપિયાનું આંધણ થઈ જાય છે પ્રજા પરસેવાની- મહેનતની કમાણીમાંથી ટેકસ ભરે છે તેની કોઈ વેલ્યુ જ નથી
જાેકે, પાછલા વર્ષોમાં અમદાવાદના રોડ- રસ્તાઓમાં જબરજસ્ત સુધારો થયો છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી તેમ છતાં રસ્તાઓ તૂટી જાય છે તે પણ હકીકત છે. સામાન્ય નાગરિકો તો કહે છે કે જાે અમદાવાદના રસ્તા તૂટી જાય છે તો ગાંધીનગરમાં રહેતા વી.આઈ.પી.ઓના રસ્તાઓ કેમ તૂટતા નથી ??
ત્યાં કામ કરતા કોન્ટ્રાકટરો અને અમદાવાદ શહેરમાં કામ કરતા કોન્ટ્રાકટરોના કામની ગુણવત્તામાં આટલો તફાવત કેમ?? શું તૂટેલા રોડ- રસ્તાઓને રીપેરીંગ કરાવવા પાછળ કોઈ આવકનો મોટો સ્ત્રોત છે ??
અમુક શહેરમાં દર વર્ષે રસ્તાઓ તૂટી જાય છે તો પછી તેની ગુણવત્તાની ચકાસણી કેમ થતી નથી ?? અને જાે ચકાસણી થતી હોય તો જે કોન્ટ્રાકટરની કામગીરી અસરકારક ન હોય તેને બદલી કેમ નાંખવામાં આવતા નથી.
રોડ- રસ્તા ઉબડ-ખાબડવાળા હોવાથી અકસ્માતનો ભય રહેલો છે. ઘણી વખત તો અકસ્માત પણ સર્જાતા હોય છે તો રસ્તાઓ ખરાબ રહેતા હોવાથી વ્હીકલના મેઈન્ટેન્સના ખર્ચમાં વધારો થાય છે. છેવટે તો સમગ્ર બોજાે પ્રજા પર જ આવે છે.