પ્રધાનમંત્રી જનધન ખાતા ૪૧ કરોડને પાર થઈ ગયા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન ધન યોજનાથી ૪૧ કરોડ કરતા વધુ લોકોને ફાયદો થયો છે. નાણા મંત્રાલયે આ જાણકારી આપી છે. છ જાન્યુઆરી ૨૦૨૧ સુધી જનધન ખાતાની કુલ સંખ્યા ૪૧.૬ કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે, છ જાન્યુઆરી ૨૦૨૧ સુધી જનધન ખાતાની સંખ્યા ૪૧ કરોડને પાર અને શૂન્ય બેલેન્સ વાળા ખાતાની સંખ્યા માર્ચ ૨૦૧૫ના ૫૮ ટકાથી ઘટીને ૭.૫ ટકા થઈ ગઈ છે.
ટ્વીટ પ્રમાણે સરકાર બધા નાગરિકોના નાણાકીય સમાવેશ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪મા તેની શરૂઆત કરી, તેમણે પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં જનધન યોજનાની જાહેરાત કરી હતી. ૨૦૧૪મા ૨૮ ઓગસ્ટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી.
સરકારે ૨૦૧૮મા વધુ સુવિધાઓ સાથે આ યોજનાની બીજી એડિશન શરૂ કરી હતી. સરકારે યોજનાના બીજા તબક્કામાં તે દરેક વ્યક્તિનું ખાતુ ખોલાવ્યું જેની પાસે બેન્કિંગ સુવિધા નહતી. મહત્વનું છે કે ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ બાદ ખુલેલા જનધન ખાતા પર રૂપે કાર્ડ ધારકો માટે દુર્ઘટના વીમા કરવને વધારીને ૨ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો.
બેન્કોએ ૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૧.૬૮ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ મર્યાદાની સાથે ૧.૮ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. આ યોજનામાં અડધાથી વધુ એટલે કે ૫૫ ટકા ખાતાધારક મહિલાઓ છે. પાછલા દિવસોમાં આરટીઆઈ દ્વારા આ જાણકારી સામે આવી હતી.
આરટીઆઈમા મળેલી જાણકારી પ્રમાણે નવ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી પીએમજેડીવાઈ હેઠળ કુલ ૪૦.૬૩ કરોડ ખાતા હતા. તેમાંથી ૨૨.૪૪ કરોડ ખાતા મહિલાઓ અને ૧૮.૧૯ કરોડ ખાતા પુરૂષોના હતા. નાણા મંત્રાલય પ્રમાણે મહિલા અને પુરૂષ ખાતાધારકોના ખાતામાં જમા રકમની અલગથી માહિતી રાખવામાં આવી નથી.