પ્રધાનમંત્રી મોદીએ લખનઉ પહોંચીને કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી
લખનઉ, અયોધ્યા આંદોલનનો અવાજ રહેલા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેમણે શનિવારે રાત્રે સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૯ વર્ષના હતા. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી દેશમાં શોકની લહેર દોડી ગઈ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે ૨૩ ઓગષ્ટે અલીગઢમાં થશે. આ દિવસે જાહેર રજા રહેશે. રવિવારે કલ્યાણ સિંહના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલય લઈ જવામાં આવશે. ૨૩ ઓગસ્ટે અલીગઢમાં પૂર્વ મુખ્યમંત્રીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહનું શનિવારે રાત્રે નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા માટે લખનઉ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિવાસ્થાને પહોંચીને અંતિમ દર્શન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રી મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી તથા આવનારી પેઢીઓ તેમના માટે તેમની આભારી રહેશે.