પ્રભુ કથામાં જેમ જેમ બેસીએ તેમ ગેરસમજની ગ્રંથિઓ તૂટતી જાય, સમજણ વધતી જાય
ભાગવતાચાર્ય શ્રી જીગ્નેશ દાદાની ભાગવત કથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ-છેવાડાના માનવીનો ઉત્કર્ષ કરવા સરકાર પ્રતિબદ્ધ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
જીગનેશ દાદાની ભાગવત કથામાં ભાવિકોને સમાસ થાય છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, છેવાડાના માનવીનો ઉત્કર્ષ કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકારનો આ ધર્મ છે અને આવા શુભ કાર્યો માટે કથાકારો, સંતો- મહંતોના આશીર્વાદ પણ આવશ્યક છે.
અમદાવાદ ખાતે વ્યાસપીઠે વિરાજિત પ્રસિદ્ધ ભાગવતાચાર્ય જીગ્નેશ દાદાની ભાગવત કથામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જીગ્નેશ દાદાની ભાગવત કથામાં ભાવિકો- મુમુક્ષુઓને આગવો સમાસ થાય છે, પ્રભુની કથામાં જેમ જેમ બેસીએ તેમ ગેરસમજની ગ્રંથિઓ તૂટતી જાય છે અને સમજણ વધતી જાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોથી પૂજન કરી કથાકાર શ્રી જીગ્નેશ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં જોષી પરિવાર દ્વારા સ્વ. જશવંતલાલ અને સ્વ. હિરેનભાઈના સ્મરણાર્થે આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સ્વર્ગસ્થોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જોશી પરિવારના સભ્યો અને ધર્મપ્રેમી શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.