પ્રેમમાં નિષ્ફળતા મળતાં યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

FIles Photo
રાજકોટ: શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ચાર માસ પૂર્વે આણંદથી રાજકોટ રહેવા આવેલા ૨૪ વર્ષના યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેને જીવન ટુંકાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રૈયા ગામમાં આવેલી અંજલી ડેરી પાસે ચિરાગભાઈ દિનેશભાઈ તેરૈયાના મકાનમાં ભાડે રહેનારા આકાશ દિનેશભાઈ મકવાણા નામના ૨૪ વર્ષીય યુવાને ગળાફાસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આકાશ મૂળ આણંદનો વતની હતો અને તે છેલ્લા ચાર માસથી રાજકોટ રૈયા ગામ ખાતે માતા અને બહેન સાથે રહી કડિયા કામ કરતો હતો. ગઈકાલે મૃતક આકાશના માતા આણંદ ગયા હતા
બહેન પણ બહાર ગઈ હતી આ સમયે આણંદથી તેની માતાએ તેને ફોન કર્યો હતો. પરંતુ તેને ફોન રિસીવ ન કરતાં માતાને કંઈક અજુગતું ઘટયું હોવાનું લાગી આવ્યું હતું. જેના કારણે તેને તરત જ મકાનમાલિકને ફોન કરીને આકાશની તપાસ કરવા કહ્યું હતું. પરંતુ જ્યારે મકાન માલિકે રુમમાં જાેયું તો આકાશ મૃત અવસ્થામાં હોય તેમ નિશ્ચેત દેખાઈ રહ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મકાન માલિક દ્વારા ૧૦૮ને જાણ કરતા તાત્કાલિક અસરથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ૧૦૮ની ટીમ દ્વારા આકાશની તપાસવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
તેમજ સમગ્ર મામલાની જાણ કંટ્રોલ મારફતે યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અજય સિંહ ચુડાસમા તેમજ રાકેશભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી. તેમજ કાર્યવાહી પૂર્ણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આકાશ આણંદની એક યુવતીના પ્રેમમાં હતો પરંતુ યુવતી તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને જેના કારણે તેણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું કહેવામાં આવે છે.