બંને ડોઝ લેનારાને RT-PCRમાંથી મુક્તિની માગણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/RT-PCR.jpg)
પૂણે: પ્રવાસન મંત્રાલયે રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી છે કે, વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકેલા આંતરરાજ્ય પ્રવાસ કરતાં લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવામાંથી મુક્તિ આપવી જાેઈએ. સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા આ લોકોએ જે-તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું. પ્રવાસન મંત્રાલયે રાજ્યોના મંત્રીઓને પત્ર લખીને રજૂઆત કરી છે કે, તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશો કોરોના કાળમાં ટ્રાવેલિંગ માટે એકસમાન પ્રોટોકોલનું પાલન કરે”,
તેમ પ્રવાસન મંત્રાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ રૂપિન્દર બ્રારેને જણાવ્યું. ૯ ઓગસ્ટે પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં કહ્યું હતું, મંત્રાલયે રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી છે કે, વેક્સીનના બંને ડોઝ લેનારા પેસેન્જરોને આંતરરાજ્ય પ્રવાસ કરતી વખતે આરટી-પીસીઆર રિપોર્ટ લઈ જવામાંથી મુક્તિ આપવામાં આવે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો, કેટલાક રાજ્યોએ રસીના બંને ડોઝ લેનારા મુસાફરોને નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ લઈને આવવામાં મુક્તિ આપી છે.
પરંતુ પશ્ચિમ બંગાળ (મુંબઈ, પૂણે અને ચેન્નાથી આવતા પેસેન્જરો માટે આરટી-પીસીઆર ફરજિયાત), કર્ણાટક, ગોવા, છત્તીસગઢ જેવા રાજ્યો રસીના બંને ડોઝ લેનારા મુસાફરો પાસેથી પણ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ માગે છે. રૂપિન્દર બ્રારે કહ્યું, પ્રવાસન મંત્રાલય તમામ રાજ્યોને એકસમાન પ્રોટોકોલનું પાલન કરવા માટે મનાવી રહ્યું છે. જે મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા હોય તેમણે પોતાનું ફાઈનલ વેક્સીનેશન સર્ટિફિકેટ બતાવાનું રહેશે અને તેમના માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવો ફરજિયાત નહીં રહે.
આ પ્રકારનો સમાન પ્રોટોકોલ બધા જ રાજ્યો અમલમાં મૂકે તે માટે પ્રવાસન મંત્રાલય પ્રયત્નશીલ છે. ૫ ઓગસ્ટે પ્રવાસન મંત્રાલયે ફેડરેશન ઓફ અસોસિએશન્સ ઈન ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી તેમજ તમામ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન ટ્રાવેલ પ્રોટોકોલ સામંજસ્યપૂર્ણ હોય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.