બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલાના વિરોધમાં 23 ઓક્ટબરે લઘુમતી સમુદાયની ભૂખ હડતાળ

ઢાકા, કુરાનના કથિત અપમાનના મામલામાં બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ હિંસા અટકે તેમ હાલના તબક્કે લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે કટ્ટરપંથીઓની હિંસાના વિરોધમાં બાંગ્લાદેશ હિંદૂ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદે 23 ઓક્ટોબરે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. સાથે જ વડાપ્રધાન શેખ હસીનાને આકરા પગલાં લેવની માંગ કરી છે. ચેતવણી આપી છે કે જો આરોપીઓ વિરુદ્ધ જલદી કાર્યવાહી નહીં કરાય તો મોટું આંદોલન કરાશે.
બાંગ્લાદેશમાં લગભગ દરેક વિસ્તારમાં હિંદૂ સમુદાયના લોકોની વિરુદ્ધ હિંસા થઈ રહી છે. કુરાનના કથિત અપમાનના મામલામાં કટ્ટરપંથી લોકો છેલ્લા એક સપ્તાહથી હિંદુ સમુદાયના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ હિંસામાં હમણાં સુધી અડધો ડઝન લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ થઈ છે. આ હિંસા નવરાત્રિથી શરુ થઈ છે. હવે બાંગ્લાદેશ હિંદુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદે આ હિંસાની વિરુદ્ધ 23 ઓક્ટોબરથી દેશભરમાં ઉપવાસની જાહેરાત કરી છે. બાંગ્લાદેશના અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ના અહેવાલ અનુસાર રાજધાની ઢાકાથી લગભગ 157 કિલોમીટર દૂર ફેનીમાં ગત શનિવારે હિદુ મંદિરો અને દુકાનોમાં કટ્ટરપંથીઓ ભારે તોડફોડ કરી હતી. આ હિંસામાં ફેની મોડલ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી નિઝામુદ્દીન સહિત ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે સાંજે 4-30 કલાકથી અડધી રાત્રિ સુધી થયેલી હિંસામાં હિંદુઓ સાથે બર્બરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું અને લૂંટફાટ કરાઈ છે.
શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ સિરાજદીખાનના રાસનિયા સંઘમાં આવેલા કાલી મંદિરમાં છ મૂર્તિઓ તોડી નાખી છે. દુર્ગાપૂજા સમારોહ દરમિયાન હિંદૂ મંદિરો પર હુમલા અને તોડફોડની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શનિવારે પણ ચાલું રહ્યા હતા. સાથે જ બર્બરતાના કારણે લઘુમતી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. આ દરમિયાન બાંગ્લાદેશ હિંદુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના મહામંત્રી એડવોકેટ રાણા દાસગુપ્તાએ ચટગાંવ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરિષદે દુર્ગાપૂજા સમારોહ દરમિયાન હુમલાના વિરોધમાં 23 ઓક્ટોબરથી ધરણા અને ભૂખ હડતાળ કરવાની જાહેરાત કરી છે. વિરોધ કાર્યક્રમ ઢાકાના શાહબાગ અને ચટગાંવના અંદરકિલામાં થશે.
આ સાથે, ઢાકા યુનિવર્સિટીની સત્તાધારી પાર્ટી અવામી લીગ સમર્થિત બ્લૂ પેનલ શિક્ષકોએ રવિવારે દેશભરમાં દુર્ગાપૂજા સ્થળો અને મૂર્તિ તોડવાની ઘટનાની નિંદા કરી છે. મંત્રી હસન મહમૂદે શનિવારે આ હિંસા માટે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(બીએનપી)ને જવાબદાર ઠેરવી છે. બીએનપી-જમાત સાંપ્રદાયિક ઉશ્કેરણીમાં સામેલ છે. બીએનપી-જમાતના વડાપ્રધાન શેખ હસીનાને રાજકીય પહોંચી વળવામાં નિષ્ફળ રહેવાના કારણે વિવિધ ષડયંત્રો રચવાનો રસ્તો પસંદ કર્યો છે.
અહીંયા એ પણ નોંધવું રહ્યું કે ગુરુવારે વડાપ્રધાન શેખ હસીનાએ હિંસાના દોષિતોને આકરી સજા કરવાનું વચન આપ્યું છે. શેખ હસીનાએ કહ્યું કે હિંદુ મંદિરો અને દુર્ગા પૂજાના સ્થળો પર હુમલોમાં સામેલ કોઈ વ્યક્તિને છોડાશે નહીં. આરોપી કયા ધર્મનો છે તેનાથી કોઈ ફરક પડશે નહીં, તેને આકરી સજા કરાશે. અહીંયા નોંધવું રહ્યું કે, આ વર્ષે રાજધાની ઢાકાના 238 સહિત દેશભરમાં 32118 પૂજામંડપોમાં દુર્ગા પૂજાની ઉજવણી થઈ હતી.