બાઇક અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત
ગોધરા , રાજ્યમાં ફરીથી ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં પંચમહાલ જિલ્લામાં ગોધરા દાહોદ હાઇવે પર બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા બાઇક પર જતા માતા, પિતા અને પુત્રીનું મોત થયું છે. જ્યારે બે બાળકોનો આબાદ બચાવ થયો છે. આ બાળકો ઇજાગ્રસ્ત છે જેથી હાલ તેઓ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, ખાનગી ટ્રાવેલ્સ ઇન્દોરથી અમદાવાદ તરફ જઇ રહી હતી.
બાઇક પર સવાર પરિવાર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇજાગ્રસ્ત બાળકો અંગે તેમના પરિવારને જાણ કરી છે.
તો મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંકલી ગામના પરિવારને અકસ્માત નડ્યો છે. આ પરિવાર, માતા-પિતા અને ત્રણ સંતાનો એક બાઇક પર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન ગોધરા હાઇવે પર ખાનગી બસ સાથે ટક્કર થઇ હતી. જેમાં પરિવારનો માળો પિંખાઇ ગયો છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ખાનગી ટ્રાવેલ્સ ઇન્દોરથી અમદાવાદ તરફ જઇ રહી હતી તે દરમિયાન ગોધરા હાઇવે પર બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હોવાની વિગતો પ્રાપ્ત છે.
આ અકસ્માતમાં ૨ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ બંને ઇજાગ્રસ્ત બાળકોને હાલમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.SSS