બાયડના ટીડીઓ કાજલ અંબાલિયાની બદલી અટકાવવા સરપંચો મેદાને : બદલી અટકાવવા કલેક્ટરને આવેદનપત્ર

બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાની ખોટી રીતે બદલી કરવામાં આવી છે તે અટકાવવા બાબતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ૧૦ થી વધુ ગામોના સરપંચ અને જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપી બાયડ ટીડીઓની બદલી ખોટી રીતે કરવામાં આવી હોવાની અને બદલી સત્વરે રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં આમરણાંત ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. બાયડ તાલુકા વિકાસ અધિકારીએ ચાર્જ સાંભળતા તેમની પ્રામાણિક છબી કેટલાક ભ્રષ્ટાચારીઓને પેટમાં દુખતા એનકેન પ્રકારે તેમની કાર્યશૈલી સામે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી બદલી કરાવવામાં સફળ રહ્યા હતા
બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ ચાર્જ સાંભળતાની સાથે તાલુકાના વિકાસના કામો સત્વરે થાય અને બાયડ તાલુકાની ગ્રામપંચાયતમાં વિકાસના કામોમાં ગોબાચારી ચાલતી હોવાનું ધ્યાને આવતા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસના કામોની મુલાકાત લેવાની સાથે ગ્રામ પંચાયતના કામગીરીની સમીક્ષા કરવાની શરૂઆત કરતા વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર ની પોલ ખુલી જવાની સંભાવના પેદા થઇ હતી
બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાએ ગ્રામ પંચાયતમાં દરેક તલાટી કમ મંત્રીને આદેશ કર્યો હતો કે તેઓના ગામમાં ચાલતા વિકાસના કામોમાં ગેરરિતી થતી હોય, ગુણવત્તા વગરના કામો થતા હોય તો સીધો તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા અંગેના બોર્ડ ચિપકાવવાનો આદેશ કર્યો હતો.આદેશ થતાની સાથે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેતા કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ,સરપંચો અને વિકાસના કામોમાં ગોબાચારી આચરતા કોન્ટ્રાકટરો અને તાલુકા પંચાયતમાં પડ્યા પાથર્યા રહેતા ફોલ્ડરિયાઓમાં હડકંપ મચ્યો હતો અને પ્રામાણિક છબીના પગલે વાંકુ પડતા ટીડીઓ કાજલ આંબલીયાની બદલી કરાવવા ગાંધીનગર અને દિલ્હી સુધી ખોટી રજુઆત કરી ધમપછાડા કરતા આખરે મહુધા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરી દીધી હતી
બાયડ તાલુકા વિકાસ અધિકારી ઉપર આક્ષેપો કરી બાયડ તાલુકાના સરપંચો વચ્ચે જાણે ગજગ્રાહ થયો હતો. અગાઉ તાલુકાના સરપંચોએ મુખ્યમંત્રીને લેખિતમાં આ અંગે રજૂઆત કરી હતી. જેમાં સરપંચોએ જણાવ્યું હતું કે બાયડ તાલુકા વિકાસ અધિકારી સરકારની છબી બગડે તેવું કરી રહ્યા હોવાથી તેઓની બદલી કરવામાં આવે. બાયડ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાના મનસ્વી વર્તનને કારણે ગ્રામપંચાયતોમાં ગ્રાન્ટની ફાળવણી ન થતી હોવાનો ગ્રામપંચાયતના સરપંચોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી. કામોની વહીવટી, મંજૂરી વર્ક ઓર્ડર સ્થળ ઉપરના કામો, શૌચાલયના કામો, આવાસના કામો જેવી વિવિધ યોજનાકિય કામોની મંજૂરી ન આપી આજદિન ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટો વાપરવામાં આવી નથી. અને આજ દિન સુધી મંજૂર થયેલા કામો હોવા છતાં જે તે ગ્રામપંચાયતના સરપંચો ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યા હોવા સાથે તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.