બિપિન રાવત પર વિવાદિત ટિપ્પણી, અમરેલીનો શખ્સ ઝડપાયો
અમરેલી, દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે.
આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત અન્ય ૧૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે નેતાઓથી લઈને બોલિવૂડ અને ખેલજગતની હસ્તિઓ સોશિયલ મીડિયા પર જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યાં છે.
બીજી તરફ જનરલ બિપિન રાવતના નિધન પર વિવાદિત ટિપ્પણી કરનાર એક શખ્સની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના શિવા આહિર નામના શખ્સે જનરલ બિપિન રાવત સાથે ઘટેલી હેલિકોપ્ટર દુર્ઘટના પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ ગત રાત્રે જ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો.
આજે સવારે જ અમદાવાર સાયબર ક્રાઈમની ટીમ રાજુલા પહોંચી હતી. હાલ સાયબર ક્રાઈમની ટીમે શિવા આહિર નામના શખ્સની અટકાયત કરીને તેને અમદાવાદ લાવી રહી છે. જ્યાં શિવાએ ક્યા કારણોસર આવી ટિપ્પણી કરી? તેને લઈને પૂછપરછ કરવામાં આવ્યા બાદ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં દુર્ઘટનાની જાણકારી આપતા સીડીએસ અને શહીદ થયેલા અન્ય તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. જે બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.HS