બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, પરિવારના એક સભ્યને રોજગાર આપવાનો વાયદો

લખનઉ : ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણ સંકલ્પ પત્ર ના નામથી ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રના કવર પજે પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર છે.
બીજેપીના સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષોમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર કે સ્વરોજગાર આપવાનો વાયદો કર્યો છે. જેમાં 5 વર્ષોમાં 3 કરોડ યુવાઓને રોજગાર અથવા સ્વરોજગાર આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાથે કોલેજ જનાર હોશિયાર વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી આપવાનો વાયદો પણ કર્યો છે. ખેડૂતોની આવક ડબલ કરવાના ઉદ્દેશ્યથી ઘણા પ્રકારના પગલા ભરવાની વાત કરવામાં આવી છે.
ભાજપા તરફથી જાહેર કરાયેલા લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં ઉજ્જવલા યોજના અંતર્ગત હોળી અને દિવાળીના પ્રસંગે 2 સિલેન્ડર મફત આપવાનો વાયદો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
ભાજપા તરફથી સંકલ્પ પત્રના નામથી જાહેર ચૂંટણી ઘોષણાપત્રમાં આગામી 5 વર્ષોમાં બધા ખેડૂતોને સિંચાઇ માટે મફત વિજળી ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. આ સિવાય 5000 કરોડ રૂપિયાના ખર્ચથી મુખ્યમંત્રી કૃષિ સિંચાઇ યોજના શરુ કરવાની વાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને બોરવેલ, ટ્યૂબવેલ, તળાવ વગેરે બનાવવા માટે ફંડ આપવામાં આવશે.