બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલીને આપણે મોટામાં મોટો પડકારનો સામનો કરી શકીએ છીએઃ મોદી

(હિ.મી.એ),નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર(૨૪ જુલાઈ)એ ગુરુ પૂર્ણિમા(અષાઢી પૂનમ)ની દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાએ એક ઑનલાઈન સંબોધનમાં કહ્યુ છે કે બુદ્ધના માર્ગ પર ચાલીને ભારતે પડકારોનો સામનો કરીને આખી દુનિયાને બતાવ્યુ છે.
પીએમ મોદીએ કહ્યુ – ભગવાન બુદ્ધે આપણને જીવન જીવવાના ૮ મંત્ર આપ્યા છે. ગુરુ પૂર્ણિમાએ અષાઢ પૂનમ કે ધમ્મ ચક્ર દિવસ પણ કહેવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ, ‘આજે આપણે ગુરુપૂર્ણિમા મનાવીએ છીએ. આજના દિવસે જ ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા બાદ પોતાનુ પહેલુ જ્ઞાન દુનિયાને આપ્યુ હતુ. આપણે ત્યાં કહેવાય છે કે જ્યાં જ્ઞાન છે, ત્યાં જ પૂર્ણતા છે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આજે કોરોના વાયરસ મહામારી રૂપે આખી માનવતા સામે સંકટ છે એવા સમયમાં ભગવાન બુદ્ધ આપણા માટે વધુ પ્રાસંગિક થઈ જાય છે. બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલીને આપણે મોટામાં મોટો પડકારનો સામનો કરી શકીએ છીએ, એ ભારતે આખી દુનિયાને બતાવ્યુ છે. બુદ્ધના સમ્યક વિચારને લઈને આજે વિશ્વભરના ઘણા ઘણા દેશો એકબીજાનો હાથ પકડી રહ્યા છે.’
પીએમ મોદીએ કહ્યુ, ‘સારનાથમાં ભગવાન બુદ્ધે આપણને આખા જીવનનુ સૂત્ર બતાવ્યુ હતુ. તેમણે દુઃખ વિશે જણાવ્યુ, દુઃખના કારણ વિશે જણાવ્યુ, એ આશ્વાસન આપ્યુ કે દુઃખથી પણ જીતી શકાય છે અને જીતનો રસ્તો પણ બતાવ્યો. ભગવાન બુદ્ધે આપણને અષ્ટાંગ સૂત્ર આપ્યા. જે છે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક પ્રયાસ, સમ્યક મન અને સમ્યક સમાધિ.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ, ‘બુદ્ધના મૂલ્યો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વૈશ્વિક સમસ્યાઓનુ સમાધાન કરવામાં મદદ મળશે અને દુનિયા એક વધુ સારા સ્થાનમાં ફેરવાઈ શકે છે.’
ગુરુપૂર્ણિમા અષાઢ માસની પૂર્ણિમાએ ઉજવાય છે. આ દિવસે ગોવર્ધન પર્વતની લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે.બંગાળી સાધુઓ માથું મુંડાવે છે અને પરિક્રમા કરે છે. વ્રજમાં મુડિયા પૂનોના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરાય છે. આખા ભારતમાં આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવાય છે. આમ તો વ્યાસના નામે અનેક વિદ્રાન છે પણ વ્યાસ ઋષિ ચારે વેદના પ્રથમ વ્યાખ્યાતા હતા. આજના દિવસે તેમની પૂજા કરાય છે.