બુદ્ધ પૂર્ણિમા પર મોડાસા ક્ષેત્રમાં ચાર હજારથી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ

(પ્રતિનિધિ)મોડાસા, વિશ્વમાં યુદ્ધ તેમજ રોગોથી ગ્રસ્ત વાતાવરણ વધી રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં અદ્ભૂત પ્રયોગ એવા યજ્ઞનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં અગ્નિમાં શુદ્ધ ભાવનાથી મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રી હોમવામાં આવે છે . તે અનેક ઘણી સૂક્ષ્મ ઉર્જા માં પરિવર્તન પામે છે.
જે સદ્વિચારોના તરંગો ઉત્પન્ન કરવામાં તથા રોગોના જીવાણુઓ નાશ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરે છે. તેમજ આ ઔષધિઓથી ઉત્પન્ન થનાર ઉર્જાવાન વાયુ મનુષ્યના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળી જવાથી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. આ યજ્ઞ કાર્ય દરમિયાન ભાવ સંવેદનાથી થતાં મંત્રોચ્ચારથી આત્મબળમાં પણ વૃદ્ધિ થાય છે.
આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં અદ્ભૂત લાભ આપતા યજ્ઞના મહત્વને જન જન સુધી પહોંચાડવાના પ્રયોગ રુપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા વિશ્વભરમાં એક સાથે “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” આંદોલન બુદ્ધ પૂર્ણિમા પર રાખવામાં આવ્યું . જેમાં વિશ્વસ્તરે અનેક દેશો સહિત અરવલ્લી જીલ્લામાં મુખ્ય મથક મોડાસા સહિત બાયડ ,ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર તાલુકાઓમાં પણ ઘેર ઘેર ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં યજ્ઞના મહત્વની અગાઉથી સૌને સોસીયલ મિડિયા તેમજ રુબરુ સંપર્ક દ્વારા વિગતવાર જાણકારી મળતા સૌમાં ઉત્સાહ વધતા મોડાસા ક્ષેત્રમાં ૪૦૦૦ ( ચાર હજાર ) થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા.
જેમાં આ માટે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી ગાયત્રી મહામંત્ર તેમજ મહામૃત્યુંજય મંત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવી. જેને યજ્ઞ કર્મકાંડ જાતે ન ફાવતું હોય તેમને સોસીયલ મિડિયાના ઓનલાઈન માધ્યમ દ્વારા ડિજીટલ યજ્ઞ લીંક, વિડીયો ક્લીપનો ઉપયોગ કરીને પણ સૌને સ્વયં પોતાના ઘેર યજ્ઞ કરવા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી તેમજ મોડાસા શહેર સહિત ચાલીસ ગામોમાં ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી વિના મૂલ્યે તેમજ યજ્ઞ કર્મકાંડની સરળ પત્રિકાઓ ગાયત્રી સાધકો દ્વારા ઘેર ઘેર પહોંચાડવામાં આવેલ. જેથી સૌ સરળ રીતે પોતાના ઘેર જાતે જ યજ્ઞ કરી શકે એવું આયોજન કરવામાં આવ્યું હતું.