બેંકને મોર્ગેજ આપેલી જમીન બારોબાર અન્ય વ્યક્તિને વેચી મારી
અમદાવાદ: કેન્દ્ર સરકારની એમએસએમઈ સ્કીમનો લાભ લઈ નિકોલ ખાતે રહેતા બે ભાઈઓએ બેંકમાંથી રૂપિયા બે કરોડની લોન મેળવી હતી એક વર્ષ સુધી હપ્તા ભર્યા બાદ તેમણે હપ્તા ન ચુકવતાં બેંકે તપાસ કરતા બંને ભાઈઓએ રૂપિયા લઈ કોઈ મશીનરી નહી વસાવી હોવાનું બહાર આવ્યુ છે ઉપરાંત બેંકને મોર્ગેજ આપેલી જમીન પણ બારોબાર અન્ય વ્યક્તિને વેચી મારી હતી.
આ અંગેની વિગત એવી છે કે વર્ષ ર૦૧૬ના ઓકટોબર માસમાં ક્રિષ્નાકુમાર ઈ. પુરોહીત તથા જલારામ ટી. પુરોહીત નામના બે ભાઈઓએ એમએસએમઈ સ્કીમ હેઠળ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરી હિર મેટલ કોર્પોરેશનના નામે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી બે કરોડની લોન મેળવી હતી જેમાં અસલાલી ખાતે શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પોતાની જમીન મોર્ગેજ કરાવી હતી.
એક વર્ષ સુધી લોનના હપ્તા ભર્યા બાદ હપ્તા ન આવતા બેંકે આ અંગે તપાસ શરૂ કરી હતી જેમાં બંને ભાઈઓએ પ્રોજેકટ મુજબ કોઈ મશીનરી ખરીદીને ધંધો ચાલુ ન કર્યાનું જાણવા મળ્યું હતું જેથી બેંકે ગીરવે મુકેલી જમીનની હરાજી કરવા જતાં જમીન પણ બંનેએ કોઈને વેચી મારી હોવાનું બહાર આવ્યું હતું બંને ભાઈઓએ અન્ય બેંક પાસેથી પણ આજ રીતે લોન મેળવી હોવાનું જાણવા મળતા છેવટે સેન્ટ્રલ બેંકના મેનેજરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બંને વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે