બોગસ આદિવાસી બની લગ્નની જાળમાં યુવતીઓને ફસવાય છેઃ મનસુખ વસાવા

રાજપીપળા, પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટીમાં મંડળની એક બેઠકમાં આદિવાસીઓને લગતા પ્રશ્નોને ઉજાગર કર્યા હતા. જેમાં આદિવાસી યુવતીઓ સાથે બોગસ લોકો આદિવાસીના સ્વાંગ રચીને લગ્ન કરતા હોવાનો ધડાકો કર્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ સેલંબા ખાતેના ભારતીય જનતા પાર્ટીના મંડળની બેઠકમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કેટલાક લોકો ખોટા આદિવાસી બની જિલ્લાની આદિવાસી છોકરીઓને ફસાવતા હોય છે, તેમની સાથે લગ્ન કરી બે ત્રણ વર્ષ આદિવાસી યુવતીઓ સાથે રહી તેમને છોડી દેવામાં આવે છે, અને આ બોગસ બની બેઠેલા આદિવાસીઓ બીજી આદિવાસી યુવતી સાથે લગ્ન કરે છે, જેથી આવા લોકો જે આદિવાસી યુવતીઓનું શોષણ કરે છે તેવા લોકોનો સહુને સાથે મળીને વિરોધ કરવાની હાકલ કરી હતી.
આ ઉપરાંત તેઓએ જાતિ અંગેના પ્રમાણપત્રોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ કરી અને જે કાયદો આદિજાતિઓના પ્રમાણપત્રો માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલ તેનો અમલ કરવામાં આવેની માંગ તમામ આદિવાસી સમાજના આગેવાનો કરે એવી હાંકલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી યુવતીઓના બોગસ આદિવાસીઓ સાથે લગ્ન થતાં હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે આ મામલે સરકાર આવા બોગસ આદિવાસીઓ કોણ ? કોણ કરી રહ્યુ છે આદિવાસીઓ યુવતીઓનું શોષણ ? શું આ મામલે જયારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા જ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો છે ત્યારે આવી તપાસ હાથ ધરવામાં આવશે ખરી ? બોગસ બની બેઠેલા આદિવાસીઓ સામે આદિવાસી યુવતીઓના શોષણ મામલે કાર્યવાહી હાથ ધરાશે ?