Western Times News

Gujarati News

બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરનાર મહિલા શરણે

કાંચિપુરમ,  લગ્નેત્તર સંબંધ પછી પ્રેમમાં પાગલ બનેલા કેટલાક પાર્ટનર પોતાના નવા પ્રેમને સફળ બનાવવા માટે જેમની સાથે જન્મોજનમ સાથે રહેવાની કસમ ખાઈને લગ્ન કર્યા છે તેમને પતાવી દેવામાં જરાય ખચકાતા નથી. વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ૩૭ વર્ષની મહિલાએ બોયફ્રેન્ડની મદદથી પોતાના પતિને પતાવી દીધો છે. મહિલાએ કથિત રીતે પોતાના પતિની હત્યા ૨૮ જુલાઈના રોજ તામિલનાડુના કાંચિપુરમ જિલ્લામાં કરી હતી. પોલીસે આ મહિલાની પાછલા અઠવાડિયે ગુરુવારે ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ ઘટનામાં વધારે તપાસ કરી રહી છે.

ન્યૂઝ મીડિયા રિપોર્ટ્‌સ મુજબ પોલીસે જણાવ્યું કે, મહિલાએ ગુરુવારે સવારે સરેન્ડર કર્યું હતું અને સ્વીકારી લીધું હતું કે તેણે જ બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી હતી. મૃત્યુ પામેલા યુવકની ઓળખ અધાંચેરી તરીકે થઈ છે અને તે સોમાંગલમની રહેવાસી હતો, જે સોમાંગલમ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. અધાંચેરી ગુમ થયા બાદ તેના પિતાએ ૨૯ જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પિતાએ ફરિયાદમાં પોતાના દીકરાની સાથે પત્ની અને પૌત્ર પણ સાથે ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરુ કરી હતી, પરંતુ સરેન્ડર કરનારી પત્નીએ જણાવ્યું કે, જ્યારે તેનો પતિ સાથે ઝઘડો થયો હતો ત્યારે તે ગુસ્સામાં આવી ગઈ હતી અને એક પછી એક ચાકુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પતિને પત્નીના લફડા વિશે ખબર પડી ગઈ તે પછી બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો, આ ઝઘડા બાદ પત્નીએ બોયફ્રેન્ડને છોડી દેવાનો કે પતિની માફી માગીને તેને સમજાવવાની કોશિશ કરવાના બદલે તેણે બોયફ્રેન્ડને ફોન કરીને બોલાવી લીધો અને તેની સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. મહિલાએ પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કર્યા પછી એવું પણ સ્વીકારી લીધું કે તેણે પહેલા બોયફ્રેન્ડની મદદથી પતિના મૃતદેહને નજીકમાં આવેલા તળાવ પાસે લઈ જઈને લાશને છૂપાવી દીધી હતી. આ પછી પોતે પોલીસની નજરમાં ના આવે તે માટે ફરી બોયફ્રેન્ડ સાથે મળીને લાશને સળગાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પછી બન્ને લાશનો નાશ કરવા માટે તેને ચેંગાલપટ્ટુ જિલ્લામાં ક્યાંક લઈ જઈને સળગાવી દીધી હતી.

પોલીસે માહિતીના આધારે તપાસ કરીને ચેંગાલપટ્ટુમાંથી લાશના અવશેષો શોધી કાઢ્યા હતા. મૃતક અધાંચેરીની પત્ની અને આરોપી વિમલા રાનીએ બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ ૧૨ કલાક સુધી તેનો મૃતદેહ બેડરૂમમાં જ છૂપાવીને રાખ્યો હતો. આ પછી તે લાશના પુરાવાનો નાશ કરવા માટે રાત્રે પતિનો મૃતદેહ લઈ જઈને પછી તેને સળગાવી દીધો હતો.
એવી પણ વિગતો સામે આવી રહી છે કે, જ્યારે મૃતકના પિતાએ રાનીને ૨ ઓગસ્ટના રોજ ફોન કર્યો ત્યારે તેણે દીકરાના ક્લાસ ચાલતા હોવાનું કહીને ફોન પર વાત નહોતી કરી. મહિલા ઝડપાઈ ગયા બાદ તેના પતિની ધરપકડ માટે પોલીસે ટીમ તૈયાર કરીને તપાસ શરુ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.