Western Times News

Gujarati News

બ્રેઇન ડેડ થયેલા અજયસિંહના અંગદાનથી ત્રણ જરુરીયાતમંદોને નવજીવન મળ્યું

છેલ્લા એક મહિનામાં છ બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળી સફળતા: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી

ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામા તબીબો સફળ બને છે. કોરોનાકાળમાં પી.પી.ઇ. કીટમા સજ્જ દેવદૂત સમાન આ તબીબોએ  કઠોર પરિશ્રમ અને અથાગ પ્રયાસો થકી અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓ ને નવજીવન બક્ષી આ સાર્થક કરી બતાવ્યું.

પરંતુ કોઈ જરૂરિયાતમંદને નવજીવન આપવા તબીબ હોવું જ જરૂરી નથી.!! બ્રેઈનડેડ જાહેર થયા બાદ  મૃત વ્યક્તિ પણ પોતાના અંગોના દાન થકી અન્યોને નવજીવન આપી શકે છે.

અમદાવાદ સિવિલમાં પણ ફરી વખત ખૂબ જ ટૂંકા ગાળામાં કંઈક આવું જ બન્યું.અમદાવાદ સિવિલમાં ૧૫મું અંગ દાન થયું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ૨૩ વર્ષીય યુવાન અજયસિંહ પરમારનું લીમડી નજીક ટ્રક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

૧૫ ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે  સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યા હતા. ૧૭ મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અજયસિંહ પરમારને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અજયસિંહના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપતા તેમના પરિવારજનોએ અજયસિંહ અંગોના દાન થકી જરૂરિયાતમંદોને અંગ પ્રદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી.

આમ, અજયભાઈના બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી જેને ટૂંક સમયમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

આ સમગ્ર ઘટના અંગેની વિગત આપતા  સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલની SOTTO ની ટીમ અંગદાન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં છ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાનમાં મળેલી સફળતા તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે, સમાજમાં અંગદાન પ્રત્યે  જાગૃતતા વધી રહી છે.

સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં ૧૫ બ્રેઇનડેડ વ્યક્તિઓના ૫૩ અંગોના દાન થકી ૪૧ જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતા અને જીવનશૈલીમાં સુધારો આણી તેમને નવજીવન આપવામાં સફળતા મળી છે.

SOTTO(State Organ And Tissue Transplant Organization)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અંગદાન બાદના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટેના અતિ મહત્વના સમયગાળા વિશે માહિતી આપતા જણાવે છે કે,દર્દી બ્રેઈનડેડ જાહેર થતા તેના હૃદયને ૪ થી ૬ કલાક, ફેફસાંને ૬ થી ૮ કલાક, સ્વાદુપિંડ અને લીવરને ૮ થી ૧૦  કલાક, કિડનીને ૨૪ કલાક, આંખોને છ કલાકમાં કાઢીને એક અઠવાડિયામા અને બંને હાથોને છ કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવુ જરૂરી બની રહે છે.

સમગ્ર પ્રક્રિયાને જરૂરી સમયગાળામાં ત્વરાએ  પૂર્ણ કરવા માટે જ ઘણી વખત ગ્રીન કોરિડોરનો ઉપયોગ કરવામાં આવે છે તેમ ડૉ.પ્રાંજલ મોદીએ ઉમેર્યું હતું. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.