ભગવંત માને પંજાબ સીએમ પદ માટે શપથ લીધા
ખટકડ કલાં, ભગવંત માન પંજાબના 17મા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ભગવંત માનને CM પદના શપથગ્રહણ કરાવ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના કન્વીનર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સમગ્ર મંત્રીમંડળ સાથે હાજર રહ્યા હતા.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાએ પણ બસંતી પાઘડી પહેરી હતી. મોટી સંખ્યામાં સમર્થકો પણ બસંતી પાઘડી પહેરીને શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.
શપથ લીધા બાદ માને સંબોધન કરતા કહ્યું કે શહીદોને માત્ર અમુક તારીખે જ કેમ યાદ કરવામાં આવે છે? આપણે દરરોજ તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવું જોઈએ.
માને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને કહ્યું કે અભિમાન બિલકુલ ન કરવું જાઈએ. તેમણે કહ્યું કે મને આવા સમાચાર ન મળવા જોઈએ. સમય અને જનતા મોટી વાત છે. તે માણસને જમીન પર લાવવામાં વિલંબ કરતા નથી. માને કહ્યું કે બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેતી, ધંધા, શાળા, હોસ્પિટલ દરેકને સુવ્યવસ્થિત કરીશું. તેમણે કહ્યું કે અહીં જ રહીને અમે પંજાબનું ભલું કરીશું.