ભરુચમાં કોરોનાએ પરિવારના બે મોભીને એકસાથે છીનવ્યા
સ્મશાન યાત્રામાં આવેલા પરિવારજનોએ એકસાથે માતાપિતાની છત્રછાયા ગુમાવતા દ્રશ્યો ભારે બની રહ્યા
ભરૂચ, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે ૯૨ વર્ષીય પતિ અને ૮૫ વર્ષીય પત્નીના એક સાથે અગ્નિદાહ અપાયા છે. પતિ-પત્નીને એક સાથે મુખાગ્નિ આપવામાં આવતા વાતાવરણ ગમગીન બન્યું હતું. પરિવારે એકસાથે જ બે મોભીઓને ગુમાવ્યા હતા. સ્મશાન યાત્રામાં આવેલ પરિવારજનોએ એકસાથે માતાપિતાની છત્રછાયા ગુમાવતા દ્રશ્યો ભારે બની રહ્યા હતા.
ભરૂચના ૯૨ વર્ષીય સનાભાઈ પ્રજાપતિને ગત ૯ એપ્રિલના રોજ કોરોનાના લક્ષણ દેખાતાં તેમને ભરૂચ સિવિલ ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન કોવિડ ૧૯ નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના ૮૫ વર્ષીય પત્ની સવિતા બેન પણ ગત ૧૫ એપ્રિલના રોજ બીમાર પડ્યા હતા. તેથી તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનામાં પણ કોરોનાના લક્ષણો જણાયા હતા. જેથી તેઓ પણ સારવાર હેઠળ હતા.
જાેકે, ટૂંકી સારવાર બાદ બંને દંપતીએ આજે દમ તોડ્યો હતો. બંન્ને પતિ પત્નીના આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જાેગાનું જાેગ મરણ થયું હતું. આ સાંભળી પરિવારના માથા પર આભ તૂટી પડ્યુ હતું. આજે પતિ પત્નીના મૃતદેહોને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટકોલ મુજબ અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા.
પરિવારજનોની ઈચ્છાને લઈ બંન્ને પતિ પત્નીના મૃતદેહોને આજુબાજુમાં જ લાકડા ગોઠવી અગ્નિ દાહ આપવામા આવ્યો હતો. સ્મશાન યાત્રામાં આવેલ પરિવારજનોએ એકસાથે માતા પિતાની વિદાયને નિહાળી હતી. જેથી સમગ્ર વાતાવરણ ગમગીન બની રહ્યુ હતું.