ભરૂચની વિધવા મહિલા સાથે દોઢ કરોડની છેતરપીંડી
મંગલેશ્વરના યુવકને રૂપિયા આપ્યા બાદ ૭ ચેક રિટર્ન થતાં વિધવા મહિલા છેતરાયા હોવાનો અનુભવ થતાં મામલો પોલીસ મથકે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં છેતરપિંડીના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ ભરૂચની એક વિધવા મહિલાએ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં તેની બહેનપણીના ગામમાં રહેતા યુવકને અલગ-અલગ સમયે રોકડા તથા ચેક અને ઓનલાઈન ટ્રાન્સફરથી ૧ કરોડ ૫૪ લાખ ૫૫ હજાર આપ્યા હતા.
અને યુવકે આપેલા ૭ ચેક રિટર્ન થતાં વિધવા મહિલા છેતરાયા હોવાનો અનુભવ થતાં તેણીએ તાબડતોબ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની મંગલ જ્યોત સોસાયટી પાસે રહેતી એક મહિલા જેઓ ના પતિ વર્ષ ૨૦૧૬માં અવસાન પામ્યા હતા અને તે દરમ્યાન તેઓને પૈસાની તકલીફ હતી.ત્યારે તેઓએ ગોલ્ડ લોન મેળવી હતી
અને જાન્યુઆરી ૨૦૨૦માં તેમની મંગલેશ્વર ગામ ની બહેનપણી નયનાબેન ટેલરે ફરિયાદીને કહેલું કે અમારા મંગલેશ્વર ગામના ગણેશ પટેલ ઝાડેશ્વર આત્મીય ઈન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે નોકરી કરી મુંબઈમાં માઈક્રો બે ચલાવે છે જે બેંકમાં મેં અને મારા પતિએ ૧૫નું લાખ રૂપિયા રોકાણ કરેલ છે,
અને ગણેશ પટેલ આપણા રૂપિયા ઈન્ફાસ્ટ્રકચર માં રોકાણ કરીને આશરે ચાર ટકા વળતર ટાઈમ ટુ ટાઈમ આપી દે છે જેથી વિધવા મહિલાએ નયનાબેન પાસેથી તેમનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.
વિધવા મહિલા ગણેશભાઈ પટેલના સંપર્કમાં આવ્યા અને સૌ પ્રથમ ગણેશ પટેલ વિધવા મહિલાના ઘરે આવ્યા હતા અને પૈસા રોકાણ અંગે બંને વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી અને વિધવા મહિલાએ પણ અલગ અલગ સમયે અલગ અલગ તરીકે રોકડા તેમજ ચેક અને ઓનલાઈન રૂપિયાનો વહેવાર કર્યો હતો
અને કુલ રૂપિયા ૧ કરોડ ૫૫ લાખ આપ્યા હતા.વિધવા મહિલાએ પૈસાની માંગણી કરતા ગણેશ પટેલ ૭ ચેક આપ્યા હતા આ તમામ ચેક બેંકમાં બેલેન્સ ન હોવાના કારણે પરત આવતા વિધવા મહિલાને છેતરાયા હોવાનો અનુભવ થતાં તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તાબડતોબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.
ગણેશ પટેલે આપેલા ૭ ચેક પરત આવતા વિધવા મહિલાએ પોતાના વકીલ મારફતે ભરૂચની કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.ચેક રિટર્નના ૧૩૮ના કેસ દાખલ પણ કર્યા છે અને તેઓએ કહ્યું હતું કે ગણેશ પટેલ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે અને હજુ પણ છેતરાયેલા લોકો બહાર આવે તેમ લાગી રહ્યું છે.