ભરૂચમાં મકાનના બાંધકામ મુદ્દે બે પરિવારો બાખડ્યા : ૬ લોકોને ઈજા
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરના નવી કસક નવી નગરીમાં રહેતા ઈસ્માઈલ યાકુબ પટેલના બાજુના મકાનમાં રહેતા માજીભાઈ નવું મકાન બનાવતા હોવાથી કે જે સિંગલ પિટિશનની દીવાલનું હોવાથી પાડોશીએ તમે ઉંચુ મકાન બનાવો છો તે પડી જવાની શક્યતા છે એમ કહ્યું હતું.
ઉપરાંત તેનાથી જાનમાલને ખતરો હોવાનું કહેતા માજી,સોનુ,શરીફાબેન, રઈશાબેન અને રેસુદ્દીન ઈસ્માઈલ પટેલના ઘરમાં મારક હથિયારો સાથે ધસી ગયા હતા.તેમજ તેમના પુત્ર અને જમાઈ સહીત તેમને અપશબ્દો ઉચ્ચારી છરીના ઘા ઝીંકી ત્રિકમ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે સામે પક્ષે યાસીન હાજી મહંમદ શેખે સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની બાજુમાં રહેતા ઈસ્માઈલ યાકુબ પટેલે યાસીન શેખની માતા સાથે મકાનના બાંધકામ કરતા હોવાથી રેતી, કપચી તેમના મકાન ઉપર પડતું હોવાનું કહી ઝઘડી કર્યો હતોય જે અંગે પુત્ર યાસીન શેખે માતા સાથે ઝઘડો કરનારા ઈસ્માઈલ યાકુબ પટેલને ઠપકો આપતા ઈસ્માઈલ પટેલ, તેમનો પુત્ર, જમાઈ તેમજ માસુમ અને સાહેલ નામના લોકોએ મારક હથિયારો લઈ ઘરમાં ઘુસી આવી ઝઘડો કરી યાસીન શેખ અને તેઓના ભાઈ તેમજ બહેનને માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
ઈજાઓને પગલે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.મારામારી અંગે સી ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.