ભાજપની સત્તા વાપસીની ઉજવણીમાં ફડણવીસની ગેરહાજરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Devendea-Fadanvis.jpg)
મુંબઈ, શિવસેનામાં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં ધાર્યા પ્રમાણે ભાજપની સત્તામાં વાપસી થઈ છે. જાેકે, દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપે આશ્ચર્ય સર્જ્યુ છે. તેવામાં પક્ષ દ્વારા શુક્રવારે કરવામાં આવેલી ઉજવણીમાં ફડણવીસની સૂચક ગેરહાજરીથી અનેક અટકળોને વેગ મળ્યો છે.
એવી પણ ચર્ચા છે કે પોતાને ડેપ્યુટી સીએેમ બનાવવાથી તેઓ નારાજ છે. ફડણવીસે અગાઉ તો એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ નવી સરકારમાં સામેલ નહીં હોય, પરંતુ પાછળથી તેમણે એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. ફડણવીસની નજીકના લોકો એવો દાવો કરી રહ્યા છે કે, રાજ્યમાં ત્રીજી જુલાઈએ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર મળી રહ્યું છે, જેની તૈયારીમાં વ્યસ્ત હોવાથી તેઓ ઉજવણીમાં સામેલ નહોતા થઈ શક્યા.
જાેકે, મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર રાખી રહેલા પોલિટિક્સના જાણકારો આ વાત માનવા તૈયાર નથી. હૈદરાબાદમાં મળી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ફડણવીસ સામેલ નથી થવાના.
આ અંગે તેમના નજીકના સૂત્રો દાવો કરી રહ્યા છે કે, વિધાનસભાનું ખાસ સત્ર પણ આ ગાળામાં જ મળવાનું હોવાથી ફડણવીસ હૈદરાબાદ જઈ શકે તેમ નથી, તેમજ આ અંગે પક્ષની રાષ્ટ્રીય નેતાગીરી સાથે વાત કરીને તેમને મહારાષ્ટ્રની સ્થિતિથી વાકેફ કર્યા છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં જે અનપેક્ષિત ઉલટફેર આવ્યો છે તેની પાછળ ફડણવીસનું ભેજું હોવાની ચર્ચા છે. શિવસેનામાં થયેલા બળવામાં ફડણવીસે ચાવીરુપ ભૂમિકા ભજવી હોવાનું મનાઈ રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું ત્યારે ફડણવીસ નવા સીએમ હશે તે નિશ્ચિત મનાઈ રહ્યું હતું, પરંતુ ફડણવીસે પોતે જ જ્યારે જાહેરાત કરી કે એકનાથ શિંદે નવા સીએમ હશે ત્યારે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ૨૦૧૯માં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન સીએમ પદની ખેંચતાણમાં જ તૂટ્યું હતું.
શિવસેનાએ તે માટે અઢી વર્ષ માટે સીએમની ખુરશી માગી હતી, પરંતુ ભાજપ સમાધાન કરવા તૈયાર ના થતાં આખરે બંને પક્ષો વચ્ચેનું વર્ષો જૂનું ગઠબંધન પડી ભાંગ્યું હતું અને મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બની હતી.
ઉલ્લેખનીય છે કે, શિંદેને સીએમ બનાવાતા ઉદ્ધવ ઠાકરેએ પણ એવું નિવેદન આપ્યું હતું કે જાે ૨૦૧૯માં ભાજપે શિવસેનાની વાત માની હોત તો આજે સીએમની ખુરશી તેની પાસે હોત. હાથમાં આવેલી સીએમની ખુરશી બીજીવાર ગુમાવનારા ફડણવીસની મજાક કરવાનું એનસીપીના વડા શરદ પવાર પણ ચૂક્યા નહોતા.
તેમણે ફડણવીસને ટોણો મારતા કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે ફડણવીસ માત્ર ઉપરથી મળતા આદેશને માની રહ્યા છે અને ડેપ્યુટી સીએમ બનીને ખુશ નથી.SS1MS