ભારતીય મીડિયાને ચીનની ચેતવણી: તાઈવાનને અલગ દેશ તરીકે દર્શાવતા નહીં

બિજિંગ, ચીનને તાઈવાન સાથે બાપે માર્યા વેર છે.ચીન તાઈવાનને ચીનનો જ એક હિસ્સો માને છે.દુનિયાના બીજા દેશો જો તાઈવાનને અલગ દેશ ગણીને વ્યવહાર કરે તો ચીનને મરચા લાગી જાય છે.
ભારત સાથે ચીનનો ટકરાવ શરુ થયો છે ત્યારથી તાઈવાન બંને દેશો વચ્ચે ચર્ચાનો વિષય બનેલુ છે.દરમિયાન હવે ચીનના ભારત સ્થિત દૂતાવાસે ભારતીય મીડિયાને તાઈવાનને અલગ દેશ તરીકે નહીં દર્શાવવા માટે ધમકી આપી દીધી છે.કારણકે ભારતીય મીડિયાના એક વર્ગે તાઈવાનના નેશનલ ડે નુ કવરેજ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કેત તાઈવાનનો 10 ઓક્ટોબરે નેશનલ ડે છે.ચીનને ડર છે કે, ભારતનુ મીડિયા તાઈવાનના નેશનલ ડેની ઉજવણીને હાઈલાઈટ કરશે અને તેને અલગ દેશ તરીકે જ રજૂ કરતા અહેવાલો દર્શાવશે.જેના કારણે ચીને ભારતીય મીડિયાને કહ્યુ છે કે, તાઈવાનને અલગ દેશ તરીકે ગણતા નહીં.તેનાથી લોકોમાં ખોટોસંદેશ જશે.ચીન સાથે સબંધ રાખનારા દેશોએ ચીનની વન ચાઈના પોલિસીનુ સન્માન કરવુ જોઈએ.
બીજી તરફ તાઈવાને તેના જવાબમાં ચીનને જડબાતોડ જવાબ આપતા કહ્યુ છે કે, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે.ભારતના લોકો અને મીડિયા આઝાદીને મહત્વ આપે છે.એવુ લાગે છે કે, કોમ્યુનિસ્ટ ચીન ભારતીય ઉપખંડમાં પણ સેન્સરશિપ લાગુ કરવા માંગે છે.તાઈવાનના ભારતીય મિત્રોનો ચીનને એક જ જવાબ હોઈ શકે કે, જે કરવુ હોય તે કરી લો..