ભારત અને ચીન વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલરની સપાટીએ પહોંચી જશે
નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલરની સપાટીએ ચાલુ વર્ષે પહોંચી જશે તેમ મનાય છે. કેલેન્ડર વર્ષના પ્રથમ ૯મહિના દરમિયાન આ વેપાર ૯૦ અબજ ડોલર પર પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ઠંડા યુદ્ધ છતાં આ વેપાર વધી રહ્યો છે.
ચીનની કુલ આયાત અને નિકાસ ર્વાષિક સરખામણીએ ૨૨.૭ ટકાથી ૪.૩૮ ટ્રિલિયન ડોલરની થઈ છે. ૨૦૧૯એટલે કે કોવિડ પહેલાંના આંકડા કરતાં આ આંકડો ૨૩.૪ ટકા વધારે છે તેવું જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ દ્વારા જણાવાયું છે. ભારતની નિકાસ ૨૧.૯૧ અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
ભારત અને ચીન વચ્ચેનો વેપાર સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીમાં ૯૦.૩૭ અબજ ડોલર પર પહોંચી ગયો છે જે ર્વાષિક ધોરણે ૪૯.૩ ટકાનો વધારો દર્શાવતો હોવાનો ચીની કસ્ટમ વિભાગે જણાવ્યું છે.
ભારત ખાતે ચીનની નિકાસ ર્વાષિક ધોરણે ૫૧.૭ ટકા વધીને ૬૭.૪૬ અબજ ડોલરની થઈ છે. ભારતે તાકીદના ધોરણે ઓક્સિજન કોન્સનટ્રેટર જેવા તબીબી સાધનો કોરોના કારણે મંગાવતા આ નિકાસમાં વધારો થયો છે જ્યારે સામા પક્ષે ભારતની નિકાસ ૨૧.૯૧ અબજ ડોલરની થવા પામી છે જે ૪૨.૫ ટકાનો વધારો દર્શાવે છે.
કેટલાક નિરીક્ષકો કહે છે કે બાકીના ત્રણ મહિનામાં બંને દેશ વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલરની સપાટીએ પહોંચી જશે. એલએસી તથા લદાખ સરહદે તંગદિલી છતાં બંને દેશો વચ્ચેનો વેપાર વધી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા છતાં હજી પણ ચીન ખાતેથી ભારતે આયાત ચાલુ રાખી છે.HS