Western Times News

Gujarati News

ભારત અને રશિયાના સંબંધોમાં ઝેર ઘોળવા ચીનના ધમપછાડા

બેઈજિંગ: ભારત અને રશિયાના મજબૂત સંબંધો ચીનને હંમેશા આંખમાં કણાની જેમ ખટક્યા કરે છે. તેણે અનેકવાર એવા પ્રયત્નો કર્યા છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ રીતે અંતર પડે, પરંતુ સફળ થયું નથી. હવે એકવાર ફરીથી ચીન પોતાના આ ષડયંત્રને અંજામ આપવામાં લાગ્યું છે.

ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન રદ થવાના અહેવાલ સામે આવતા જ ચીને ઝેર ઓકવાનું શરૂ કરી દીધુ છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં શિખર સંમેલનનો ઉલ્લેખ કરતા કહેવાયું છે કે ભારત-રશિયાના સંબંધમાં તિરાડ પડી ગઈ છે.

ગ્લોબલ ટાઈમ્સના સંપાદકીયમાં લખ્યું છે કે વર્ષ ૨૦૦૦ બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ભારત અને રશિયા વચ્ચેનું શિખર સંમેલન ટાળવામાં આવ્યું ચે. જેનાથી બંને દેશોના સંબંધોમાં તિરાડના સ્પષ્ટ સંકેત મળે છે. અખબારમાં આગળ લખવામાં આવ્યું છે કે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે રશિયા અને ભારત માત્ર સહયોગ નહીં પરંતુ તેમના સંબંધ ગઠબંધન કરતા ઘણા આગળ છે. બંને વચ્ચે હિતોને લઈને પણ ટકરાવ નથી.

હાલના સમયમાં મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે રણનીતિક સંબંધ સ્થિર રહ્યા છે. જાે કે શિખર સંમેલન રદ થવું કઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. સંપાદકીયમાં આગળ લખવામાં આવ્યું છે કે રશિયા અને ભારત બંનેએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીના પગલે આ વર્ષે થનારું સંમેલન રદ કરવામાં આવ્યું.

પરંતુ તેનાથી અનેક પ્રમુખ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલો વિવાદ છૂપાઈ શકાય નહીં. બંને પક્ષોની ચિંતાઓ અલગ અલગ છે અને એકબીજાની કૂટનીતિક નીતિઓ અંગે વિચાર પણ અલગ અલગ છે. મોસ્કોને લાગે છે કે નવી દિલ્હીની વોશિંગ્ટન સાથે નીકટતા વધી રહી છે. આ કારણે બંનેના સંબંધો પ્રભાવિત થયા છે.

ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે ભારતની અમેરિકા સાથે વધતી નીકટતાથી રશિયા અને ભારત વચ્ચે પરંપરાગત હથિયારોના વેપારને પણ ગંભીર ઝટકો લાગ્યો છે. ભારતના હથિયારોની આયાતમાં રશિયાનો અડધા કરતા વધુ હિસ્સો છે, પરંતુ હાલમાં જ અમેરિકાએ ભારત પર દબાણ વધાર્યું છે કે તે રશિયાથી હથિયારોની ખરીદીથી દૂર રહે. ચીની મીડિયાએ એમ પણ કહ્યું કે ૮ ડિસેમ્બરના રોજ મોસ્કોમાં એક થિંક ટેન્કને સંબોધિત કરતા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી દેશો પર ભારતને રશિયાથી દૂર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ચીની અખબારે એવો પણ દાવો કર્યો છે કે ઓક્ટોબરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વલ્દાઈ ઈન્ટરનેશનલ ડિસ્કશન ક્લબની ૧૭મી વાર્ષિક બેઠકમાં ભારત સાથે બગડતા સંબધો તરફ ઈશારો કર્યો હતો. પુતિને ચીન, જર્મની, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રીકાનો ઉલ્લેખ કર્યો, પરંતુ ભારત અંગે કશું કહ્યું નહતું. તે દર્શાવે છે કે રશિયા ભારતમાં ‘અંકલ સેમ’ના વધતા પ્રભાવથી નારાજ છે. અત્રે જણાવવાનું કે ચીન સતત રશિયા સાથે પોતાના સંબંધો સારા કરવામાં લાગ્યું છે. તે ઈચ્છે છે કે રશિયા અને ભારત વચ્ચે ઊંડી ખાઈ ખોદી નાખવામાં આવે. હવે જ્યારે બંને દેશો વચ્ચે શિખર સંમેલન રદ થઈ ગયું તો તેને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવા માટે વધુ એક તક મળી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.