ભારત-અફઘાનિસ્તાન વચ્ચે વિમાની સેવા શરૂ થાય: તાલિબાને લખ્યો ભારતને પહેલો પત્ર

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સત્તા પર કબ્જો કર્યા બાદ દુનિયાના બીજા દેશોએ અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા બંધ કરી દીધી છે.
સરકાર બનાવ્યા બાદ તાલિબાને ભારતને પહેલો પત્ર લખ્યો છે અને બંને દેશો વચ્ચેની હવાઈ સેવા ફરી શરૂ કરવા માટે અપીલ કરી છે.તાલિબાન તરફથી ભારતને પહેલી વખત કોઈ સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. અફઘાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા ભારતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને પત્ર લખીને બંને દેશો વચ્ચેની વિમાની સેવા ફરી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પત્ર પર અફઘાનિસ્તાનના કાર્ટકારી ઉડ્ડયન મંત્રી અલ્હાજ હમીદુલ્લાહની સહી છે. પત્રમાં ભારતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ચીફ અરૂણ કુમારને સંબોધીને કહેવાયુ છે કે, તમે જાણો છો કે અમેરિકન સૈનિકો દેશ છોડીને ગયા ત્યારે એરપોર્ટને નુકસાન પહોંચડતા ગયા છે. કતાર દ્વારા મળેલી ટેકનિકલ સહાયથી એરપોર્ટ ફરી કામ કરી રહ્યુ છે. આ પત્ર લખવાનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે લોકોની અવર જવર શરૂ કરવાનો છે. અમારી નેશનલ એરલાઈને પોતાની ફ્લાઈટો અગાઉની જેમ જ ચલાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે. એટલે તમે કોમર્શિયલ ફ્લાઈટના સંચાલનમાં મદદ કરો તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાન છોડયુ તે પછી ભારતે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને એ બાદ હવાઈ સેવા પર રોક લગાવી દીધી હતી.