ભારત પાસે તમામ ખાદ્યતેલોનો પૂરતો સ્ટોક છે: કેન્દ્ર સરકારનો દાવો
નવીદિલ્હી, સરકારે કહ્યું હતું કે દેશમાં ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક છે અને તે કિંમતો અને પુરવઠાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત પાસે તમામ ખાદ્યતેલોનો પૂરતો સ્ટોક છે.
ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં તમામ ખાદ્યતેલોનો વર્તમાન સ્ટોક લગભગ ૨૧ લાખ ટન છે અને મે મહિનામાં લગભગ ૧૨ લાખ ટન આવવાની ધારણા છે.
સરકારના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ પર પ્રતિબંધ લાદવાને કારણે ઉભી થયેલી આ સ્થિતિનો સામનો કરવા માટે ભારત પાસે પર્યાપ્ત અનામત છે. બીજી તરફ, તેલીબિયાં પર નજર કરીએ તો, કૃષિ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલ એડવાન્સ ડેટા અનુસાર, ૨૦૨૧-૨૨માં ૧૨૬.૧૦ લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થયું છે, જ્યારે તે ગયા વર્ષના ૧૧૨ લાખ ટન કરતાં વધુ છે.
રાજસ્થાન સહિત તમામ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ૨૦૨૧-૨૨ની સિઝનમાં સરસવની વાવણી વધીને ૧૧૪ લાખ ટન થવાની ધારણા છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૩૭ ટકા વધુ વાવણીને કારણે છે.
સરકારી નિવેદન અનુસાર “ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ કિંમત અને ઉપલબ્ધતાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો અને એમઆરપીઅંગે ચર્ચા કરવા માટે મોટા ખાદ્યતેલ પ્રોસેસિંગ એસોસિએશનો સાથે નિયમિત બેઠકો યોજવામાં આવે છે.
ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પામ ઓઈલ (ક્રુડ અને પ્રોસેસ્ડ) કુલ આયાતી ખાદ્ય તેલોમાં લગભગ ૬૨ ટકા હિસ્સો ધરાવે છે. તેઓ મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે. સોયાબીન તેલ (૨૨ ટકા) આજેર્ન્ટિના અને બ્રાઝિલમાંથી આયાત કરવામાં આવે છે, જ્યારે સૂર્યમુખી તેલ (૧૫ ટકા) મુખ્યત્વે યુક્રેન અને રશિયામાંથી આયાત કરવામાં આવે છે.
“વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડા અને નિકાસ કરતા દેશો દ્વારા નિકાસ કર/લેવીમાં વધારાને કારણે ખાદ્ય તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો દબાણ હેઠળ છે,” નિવેદનમાં જણાવાયું છે. ખાદ્યતેલોની કિંમતો પર રોજબરોજ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે જેથી કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.”
ખાદ્ય સચિવની અધ્યક્ષતામાં કૃષિ-કોમોડિટી પરની આંતર-મંત્રાલય સમિતિની સાપ્તાહિક બેઠકો ખેડૂતો, ઉદ્યોગો અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલ સહિતની કૃષિ ચીજવસ્તુઓની કિંમતો અને ઉપલબ્ધતા પર નજીકથી દેખરેખ રાખે છે.HS