ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાને ટ્રમ્પની મદદ માંગી

પાકિસ્તાને યુએસ પ્રમુખની ખુશામત કરીને ભારત સાથે બેઠકની વિનંતી કરી
પાકિસ્તાનના પીએમ શરિફે તાજેતરમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ બાદ સિઝફાયર કરાવવામાં ટ્રમ્પની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી
ઈસ્લામાબાદ,પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરિફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત સાથે વાતચીત માટે હવે ટ્રમ્પની મદદ માંગી છે. ભારત સાથે ઘર્ષણ બાદ પાકિસ્તાન હવે વાતચીત કરવા વૈશ્વિક સ્તરે હવાતિયા મારી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શરિફે તાજેતરમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ બાદ સિઝફાયર કરાવવામાં ટ્રમ્પની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. હવે શરિફ અને બિલાવલ બંને ટ્રમ્પની ખુશામત કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા અને પાકિસ્તાને યુએસ સાથે દ્વિપક્ષીય સંબંધ સુધારવાના બહાને ભારત સાથે બેઠક યોજવા ટ્રમ્પને વિનંતી કરી છે.
ભારતે અગાઉ પાકિસ્તાન સાથે સિઝફાયરમાં અમેરિકાની કોઈ ભૂમિકા ના હોવાની સ્પષ્ટતા કરી હતી. બંને દેશના ડીજીએમઓ વચ્ચે ૧૦મી મેએ થયેલી વાતચીત બાદ જ શાંતિ સ્થાપિત થઈ હોવાનું ભારતે જણાવ્યુ હતું. તેમ છતા પાકિસ્તાન મિત્ર અમેરિકાને વચ્ચે ઢસેડી રહ્યું છે અને હવે યુએસ પ્રમુખને ભારત સાથે બેઠક યોજવા માટે જણાવી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરિફને ટાંકીને ડોન અખબારે જણાવ્યું કે, ટ્રમ્પ શાંતિ માટેના માણસ છે…ફાયદાનો સોદો કરાવે છે તેમાં કોઈ બેમત નથી. પાક.-યુએસના દ્વિ-પક્ષીય સંબંધો નવી મિત્રતામાં પ્રવેશી રહ્યા છે. ખાસ સંપર્કાે પુનઃ જીવંત થઈ રહ્યા છે. પીપીપીના પ્રમુખ બિલાવલના વડપણ હેઠળનું એક પ્રતિનિધિમંડળ અમેરિકામાં છે અને તેમણે યુએસ સ્થિત પાક. પત્રકાર સાથે વાતચીત કરી હતી. તેણે અમેરિકાના રાષ્ટ્રપતિને ભારત-પાક. શાંતિ સ્થાપવામાં મહત્વના ગણાવ્યા હતા અને તે શું કહે છે તેના પર ધ્યાન આપવા ભાર મૂક્યો હતો.