મધ્યપ્રદેશના બેતુલમાં રબડીખાધા બાદ ૨૭૨ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું
બેતુલ, હાલમાં લગ્નની મોસમ ખીલી છે. ભર ગરમીમાં લોકો લગ્નનો આનંદ ઉઠાવી રહ્યા છે. લગ્નના જમણવારમાં ખાધા પછી ઘણી વખત લોકો બીમાર પડતા હોય છે. મધ્યપ્રદેશના બેતુલમાં રબડી ખાધા બાદ ૨૭૨ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો ગુરુવારે મોડી રાત્રે સગાઈ સમારોહમાં સામેલ થયા હતા. વર-કન્યા પણ બીમારોમાં સામેલ છે.
મોટાભાગના લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલો બેતુલના બોરદેહી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં પિંડારાઈ ગામમાં ધારા સિંહ રઘુવંશી નામના વ્યક્તિની સગાઈનો કાર્યક્રમ હતો.
આ કાર્યક્રમમાં છોકરી અને છોકરા પક્ષના મળીને ૬૦૦ જેટલા લોકો મહેમાન બન્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ૪૦૦ લોકોએ ભોજન લીધું હતું અને તેમાંથી મોટાભાગના લોકોને અડધા કલાક પછી ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી.
ત્યાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું કે રબડી ખાધા પછી જ લોકોની તબિયત બગડી છે.બીમાર લોકોને તાત્કાલિક મુલતાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં જગ્યા ઓછી પડતાં પ્રશાસને બે પ્રાઈવેટ હોસ્પિટલની મદદ લીધી અને કેટલાક દર્દીઓને ત્યાં દાખલ કરાયા હતા. સારવાર માટે જિલ્લાના અન્ય સ્થળોએથી પણ ડોક્ટરો બોલાવ્યા હતા.
પોલીસ અને ફૂડ વિભાગની ટીમ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી અને ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા. જેમને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે ફૂડમાં શું ખોટું હતું. જેના કારણે લોકોને ફૂડ પોઈઝનીંગ થયું હતું. એની ખબર પડશે.HS