મફત રસી માટે લોકોને અવાજ ઊઠાવવા રાહુલ ગાંધીની અપીલ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સીનના અભાવે રસી મુકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં વેક્સીનને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.
રાહુલ ગાંધીએ પોતાના એક ટિ્વટમાં લોકોને મફત વેક્સીન માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, કોરોના સામે વેક્સીન જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત વેક્સીન મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે. કેન્દ્ર સરકારને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી વેક્સીન અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચુકયા છે.
પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. વેક્સીનના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સીન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે. વેક્સીનેશન અભિયાનની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં ૨૧.૮૫ કરોડ લોકોને કોરોનાની વેક્સીન મુકાઈ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ લાખ ઉપરાંત લોકોને વેક્સીન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૭.૩૪ કરોડ લોકોને પહેલો ડોઝ અને ૪.૫૧ કરોડ લોકોને બે ડોઝ અપાઈ ચુકયા છે.