મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવા એ મૌલિક અધિકાર નથી: કોર્ટ
પ્રયાગરાજ, અલાહાબાદ હાઈકોર્ટે દેશમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહત્વની ટિપ્પણી કરી છે અને સાથે જ મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની માગણી અંગે દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.
કોર્ટના કહેવા પ્રમાણે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવું એ મૌલિક અધિકાર નથી. આ કાયદો પ્રસ્તાવિત થઈ ગયો છે કે, મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ બંધારણીય અધિકાર નથી.
જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવીઝન બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો હતો. ઈરફાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બદાયું જિલ્લાના બિસૌલી એસડીએમના ૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો હતો.
એસડીએમએ ધોરનપુર ગામની નૂરી મસ્જિદમાં અજાન માટે લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, એસડીએમનો આદેશ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. આ આદેશ મૌલિક અને કાયદાકીય અધિકારોનું હનન કરે છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાતના ૧૦ઃ૦૦ વાગ્યાથી સવારના ૬ઃ૦૦ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો પ્રયોગ ન થવો જાેઈએ. જાેકે ઓડેટોરિયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી અને બેન્કવેટ હોલ જેવા બંધ સ્થળોએ તેનો ઉપયોગ કરી શકાય છે. લાઉડસ્પીકરના ઉપયોગ મુદ્દે બંધારણમાં નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦માં જાેગવાઈ છે.
આ નિયમોના ઉલ્લંઘન બદલ કેદ અને દંડની સજાની જાેગવાઈ છે. આ માટે એન્વાયરમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬માં જાેગવાઈ છે. તેના અંતર્ગત આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ૫ વર્ષની કેદ અને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
રાજ્ય સરકાર ઈચ્છે તો અમુક પ્રસંગે છૂટ આપી શકે છે. રાજ્ય સરકાર ઈચ્છે તો રાતના ૧૦ઃ૦૦થી ૧૨ઃ૦૦ વાગ્યા દરમિયાન કોઈ સંગઠનના કે ધાર્મિક કાર્યક્રમ માટે લાઉડસ્પીકર કે અન્ય યંત્રો વગાડવાની મંજૂરી આપી શકે છે. જાેકે એક વર્ષમાં માત્ર ૧૫ જ દિવસ આવી મંજૂરી આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ૫૪,૦૦૦થી વધારે મસ્જિદોના લાઉડસ્પીકર દૂર કરી દેવામાં આવ્યા છે અને ૬૦,૦૦૦ લાઉડસ્પીકરનો અવાજ ઘટાડી દેવામાં આવ્યો છે.SSS