મહાનગરોમાંથી રાત્રિ કરફ્યુ નહીં હટે: પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ, રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં ગુજરાતનાં ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે ૯થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને આ કરફ્ય ક્યારે હટાવાશે તેને લઈ અનેક લોકોનાં મનમાં સવાલ છે. તેવામાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાત્રિ કરફ્યૂને લઈને પ્રતિક્રિયા આપી છે. સુરતના કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાત્રિ કરફ્યૂ અંગે જણાવ્યું કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. અને હાલ પૂરતું કરફ્યૂ હટાવવામાં નહીં આવે. અને કોઈપણ સંજાેગોમાં ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે.
અગાઉ ૨૩ નવેમ્બરે ૪ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં ૨૩ નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. એ પહેલાં અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને એ માટે થઈને સાવચેતીના પગલારૂપે સતત ૫૭ કલાકનો કર્ફ્યૂ મૂકવામાં આવ્યો હતો.