મહારાષ્ટ્રમાં 24મી જાન્યુઆરીથી ખુલશે 12મા ધોરણ સુધીની શાળાઓ

Files Photo
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં 24મી જાન્યુઆરીને સોમવારથી ફરીથી શાળાઓ ખુલી જશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શાળા ખુલવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડીએ આ જાણકારી આપી હતી. તેમના કહેવા પ્રમાણે તેમણે ટાસ્ક ફોર્સ અને વાલી શિક્ષક સંઘ સાથે બેઠક કરી હતી અને સૌ શાળા શરૂ કરવા માટે સહમત હતા.
મહારાષ્ટ્રમાં સોમવારથી ફરી એક વખત શાળાઓ શરૂ થવા જઈ રહી છે. શાળાઓ ખુલશે એટલે તમામ એસઓપીનું પાલન કરવામાં આવશે. બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, માતા-પિતા, વાલીઓની સહમતિ લેવામાં આવશે. સોમવારથી એટલે કે, 24મી જાન્યુઆરીથી પ્રી પ્રાઈમરી અને પહેલી તારીખથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓ શરૂ થઈ જશે.
સ્થાનિક પ્રશાસન દ્વારા પોતપોતાના ક્ષેત્રમાં કેસની સંખ્યાના આધાર પર નિર્ણય લેવામાં આવશે. જો સ્થાનિક ક્ષેત્રના કેસ ઓછા હશે અને એસઓપીનું પાલન થઈ શકે એમ હોય તો શાળાઓ શરૂ થવી જોઈએ. શાળા ખોલવાનો અંતિમ નિર્ણય સ્થાનિક પ્રશાસન પર હશે પરંતુ મહારાષ્ટ્રમાં 24મી જાન્યુઆરીથી શાળા શરૂ થશે.
આના પહેલા મુંબઈના વાલી સંઘે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને પત્ર લખીને શાળાઓને 24મી જાન્યુઆરીથી તાત્કાલિક ખોલવા વિનંતી કરી હતી.