મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી સહિત ૧૦ લોકો પોઝિટિવ

ફરી એકવાર મંદિરને કન્ટેઇનમેન્ટ કરી દેવાયું -રજિસ્ટ્રી, સરકારી વકીલની કચેરીમાં કોરોના કેસ વધતા સરકારી વકીલની ઓફિસના કર્મચારીઓના ટેસ્ટ કરાયા
અમદાવાદ, અમદાવાદમાં કોરોના સંક્રમણને ઘટાડવા માટે અનેક પ્રયાસો થઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં મંગળવારે કોરોનાના વધુ ૧૪૮ કેસ નોંધાયા હતા. ત્યારે શહેરનાં એલિસબ્રિજ પર આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરનાં પૂજારી સહિત ૧૦ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ફરી એકવાર મંદિરને કન્ટેઇનમેન્ટ કરી દેવાયું છે.
તો બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ ૧૪ સપ્ટેમ્બરથી ફિઝિકલી ખૂલી રહી છે. હાઇકોર્ટના સરકારી વકીલની ઓફિસમાં બે કર્મચારીઓ અને બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કોરોના પોઝિટિવ આવ્યા છે. રજિસ્ટ્રી અને સરકારી વકીલની કચેરીમાં કોરોના કેસ વધતા સરકારી વકીલની ઓફિસના કર્મચારીઓના ટેસ્ટ કરાઇ રહ્યા છે.
અગાઉ પણ હાઇકોર્ટ સ્ટાફમાં ૮ કર્મચારી પોઝિટિવ આવતા કોર્ટને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાઈ હતી. મહાલક્ષ્મી મંદિરમાં ૧૦ પૈકી ૮૦ વર્ષનાં મુખ્ય પૂજારી સહિત પરિવારના ૩ સભ્યોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્યને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શહેરમાં મંગળવારે કોરોનાના વધુ ૧૪૮ કેસ નોંધાયા હતા. જ્યારે ૩ દર્દીઓના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ ૧૭૩૨ લોકોના મૃત્યુ થયા છે.
![]() |
![]() |
નવા ૨૦ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ૨૨ કેસ નોંધાયા હતા. સાણંદમાં સૌથી વધુ ૮, બાવળામાં ૪, ધોળકા, ધંધૂકા, વિરમગામમાં ૩-૩ કેસ નોંધાયા હતા. દસ્ક્રોઇ ૩૦૨, ધોળકા ૪૪૬, ધંધુકા ૧૫૮, સાણંદ ૪૫૬, અને વિરમગામમાં ૨૨૮ પોઝિટિવ કેસ છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્ટાન્ડર્ડ એસઓપી પ્રમાણે ટેસ્ટ, ટ્રેસિંગ, કન્ટેઈનમેન્ટ અને ટ્રીટ કરીને કેસને અંકુશમાં લેવા પગલાં લઈ રહ્યા છે. જે સોસાયટી, ફ્લેટ કે ચાલીમાં માત્ર ૨ કે ૩ કેસ આવે તો તાત્કાલિક તેને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવાનો ર્નિણય કરાયો છે.