મહેસાણામાં AAPની તિરંગા યાત્રા વિવાદમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Aap.webp)
મહેસાણા, વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ સક્રિય થઇ રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહેસાણામાં તિરંગા યાત્રા કાઢી હતી અને રોડ શો કરીને ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંક્યું હતું.
પરંતુ અહીં એક મોટો ‘કાંડ’ થઈ ગયો. મહેસાણામાં આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રા પૂર્વે તિરંગાનું અપમાન થયું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તિરંગા યાત્રા પૂર્વે તિરંગાનું અપમાન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અજાણ્યા શખ્સ દ્વારા યાત્રાના રૂટમાં તિરંગા લગાવવા જતા અપમાન કરાયું હતું. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે તિરંગાને નીચે પગમાં મૂકી યાત્રાના રૂટ પર તિરંગા લગાવતા અપમાન કરાયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાષ્ટ્રધ્વજ અને આપના ઝંડાનું વિતરણ આયોજક દ્વારા કરાયેલું હતું. તે દરમ્યાન અજાણ્યા શખસ વિરુદ્ધ રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાની ફરિયાદ નોધાઇ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ ફરિયાદ નોંધાવી છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ ધારા ૨૦૦૨ અન્વયે રાષ્ટ્રીય સન્માન પરત્વેના અપમાનનો કાયદો ૧૯૭૧ ની કલમ ૨ મુજબ ફરિયાદ નોધાઇ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૫ મેથી શરૂ થયેલી આપની ‘પરિવર્તન યાત્રા’ મહેસાણામાં પૂરી થઈ ગઈ છે.
પરંતુ અહીં તિરંગાને લઈને એક વિવાદ ઉભો થયો હતો. આપની રાજ્યના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે.
આ યાત્રા દ્વારા AAP કાર્યકર્તાઓ અને નેતાઓએ લોકો સુધી પહોંચવાનો અને તેમની પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા ૬ જૂને સમાપ્ત થઈ રહી હતી. જેનો સમાપન કાર્યક્રમ મહેસાણામાં રાખવામાં આવ્યો હતો. જેમાં અરવિંદ કેજરીવાલ ખુદ ઉપસ્થિત રહ્યા હતા.SS1MS