માત્ર ૪૦ રૂપિયાના વિવાદમાં પુત્રએ પિતાની કરી હત્યા
નસવાડી, માત્ર ચાલીસ રૂપિયાના વિવાદમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે બની હતી. ગામમાં આવેલી દુકાનના વેપારીને રૂપિયા ચાલીસ ચુકવવાના હોવાથી પુત્રએ ઘરમાં પડેલી ખેતીની પાકેલ તુવેર વેચવા માટે લઈ જતાં પિતા સાથે તેને બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રએ પરાઈથી હુમલો કરીને પિતાની હત્યા કરી હતી. હત્યા કરીને નાસી છુટેલા પુત્રને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે રહેતા ઈશ્વરભાઈ અને તેમના દિકરા ફુગર વચ્ચે વિવાદ થયો હતો. ફુગર ઘરમાં પડેલી તુવેર લઈને વેચવા જતો હતો, તેને વેચવાની તેના પિતાએ ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો તુ મને પૈસા કેમ આપતો નથી, તેમ કહીને તેણે લાકડાના ડીન્ગા વડે પિતા પર હુમલો કર્યો હતો.
ત્યારબાદ આસપાસમાંથી લોકો આવી જતા બંનેને છોડાવ્યા હતા. ત્યાર પછી ફરીથી ફુગર લોખંડની પરાઈ લઈને ધસી આવ્યો હતો પરાઈથી તેણે તેના પિતાના માથા પર હુમલો કરતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. થોડો સમયમાં જ તેમનું મોત નીપજયું હતું.
જેના પગલે હત્યારો ફુગર ત્યાંથી નાસી છુટયો હતો. હુમલાખોર ફુગરને રૂપિયા ચાલીસ ગામમાં એક દુકાનના વેપારીને ચુકવવાના હતા જયારે પિતા ઈશ્વરભાઈને એવુ હતુ કે દિકરો ઘરમાંથી અનાજ વેચી નાંખીને પૈસા વાપરી રહ્યો છે. આટલી વાતમાં પિતા-પુત્ર વચ્ચેના ઝઘડામાં પિતાનું મોત નીપજયું હતું.