માધબી પુરી બૂચ સેબીના પ્રથમ મહિલા ચેરમેન બનશે
નવી દિલ્હી, એનએસઈ કાંડના તાજેતરના ખુલાસા બાદ સરકારની પણ હાલત કફોડી બની છે. સેબીના ટોચના અધિકારીઓ પર પણ શંકાની સોય અટકાતા સરકાર હવે સેબીના અધ્યક્ષ પદે પણ નવા સુકાનીની નિમણૂક કરવા જઈ રહી છે.
એનએસઈ કાંડ સાથે જ સંકળાયેલા માધબી પુરી બૂચને જ સેબીના નવા અધ્યક્ષ બનાવવામાં આવશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ના વર્તમાન ચેરમેન અજય ત્યાગીનો કાર્યકાળ ૨૮ ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે અને સરકારે ગત વર્ષે તેમના ઉત્તરાધિકારીની શોધખોળ ચાલુ કરી હતી.
સોમવારના એક અહેવાલ અનુસાર સેબીને ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીનું નેતૃત્વ મળી શકે છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર માધબી પુરી બૂચને કેપિટલ માર્કેટ રેગ્યુલેટરી સંસ્થા સેબીના પ્રથમ મહિલા ચેરમેન તરીકે નિમવામાં આવશે.
સેબીના ભૂતપૂર્વ હોલ ટાઈમ મેમ્બર માધબી પુરી બુચ અગાઉ માર્કેટ રેગ્યુલેટર દ્વારા રચવામાં આવેલી નવી ટેક્નોલોજી કમિટીના વડા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં હોલ ટાઈમ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ માઘબી બૂચ જ એ વ્યક્તિ છે જેમને એનએસઈના જ ટોચના અધિકારીએ એક પત્રમાં કહ્યું હતુ કે, આનંદ સુબ્રમણ્યમ જ આ એનએસઈ કાંડ અને ચિત્રાના કોઈક અદ્રશ્ય હિમાલય બિરાજમાન યોગી બાબા છે.
એનએસઈના પૂર્વ ચેરમેન અશોક ચાવલાએ ૬ જુલાઈ, ૨૦૧૮ના રોજ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના હોલ ટાઈમ ડાયરેક્ટર માધબી પુરી બુચને લખેલ એક પત્રમાં ખુલાસો કર્યો હતો કે ઈવાયના રિપોર્ટને આધારે મારૂં માનવું છે કે એનએસઈ મામલે ચિત્રા પાસે સમગ્ર સંચાલન કરાવતા યોગી બાબા આનંદ સુબ્રમણયમ જ છે.
સેબીના નવા વડા તરીકે બુચની નિમણૂક આશંકિત સેબીના અધિકારીઓની મીલીભગત અથવા તો સરકાર દ્વારા છૂટોદોર આપવા માટે કરાઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે.SSS