‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ ના સૂત્રને સાર્થક કરતું વલસાડનું ‘બાળ યુવક મંડળ’

વલસાડ, કોવિડ-૧૯ કોરોના વાઇરસની ભયંકર બિમારીના પગલે ગુજરાત રાજય સહિત સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પરિણામે ગરીબ અને જરૂરિયાતમંદ એવા ઘણા લોકોનું જીવનધોરણ ખોરવાઇ ગયું છે. રોજનું કમાઇને રોજ ખાનારા લોકોના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થયા હતા. આવા સમયે રાજયમાં એનક સેવા ભાવી સંસ્થાઓ, એનજીઓ તથા અન્ય સામાજિક એકમોએ આગળ આવીને નિઃસહાય લોકોની મદદ કરી રહયા છે.
વલસાડ જિલ્લામાં પણ આવી અનેક સંસ્થાઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહી છે. વલસાડ જિલ્લાના છીપવાડ જકાતનાકાની સામાજીક સંસ્થા ‘શ્રી બાળ યુવક મંડળ’નું એક જ મંત્ર છે- ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’. આ સંસ્થા દ્વારા કોરોના વાઇરસની મહામારીના સંકટ સમયમાં તથા લોકડાઉન જાહેર થયાથી આજ દિન સુધી જરૂરીયાતમંદોને વિવિધ રીતે સહાય કરવામાં આવી રહી છે. જેમા તેઓએ ૧૧,૭૦૦ ફુડ પેકેટ, ૧૦ હજાર નંગ કેળા, ૨૦૦ પેકેટ લાપસી, ૩૦૦ પેકેટ શીરો, ૨૦ રાશનની કીટ તથા ૯૬૪ નંગ પારલેજી બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ વિતરણની સાથે-સાથે સંસ્થાના સભ્યો દ્વારા પરિવારોને કોરોના વાઇરસ અંગે જાણકારી આપી સાવધાની રાખવા તથા કોરોના અંગે અફવાઓથી દુર રહેવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સીંગની સાથે માસ્ક પહેરવું તથા હાથ વારંવાર ધોવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. આવા કપરા સમયમાં લોકોની સેવા દ્વારા માનવસેવાના મહાયજ્ઞમાં સહકાર આપનાર દરેક સંસ્થા વંદનીય છે.