મુંબઈના જગવિખ્યાત સિધ્ધિવિનાયક મંદિરમાં માત્ર ઓનલાઈન બુકિંગથી જ પ્રવેશ મળશે
મુંબઈ, માર્ચ ૨૦૨૦ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાશે. શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ૦૭ ઓક્ટોબરથી મંદિરને ખોલવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ અદેશ બાંડેકરના જણાવ્યા અનુસાર, ભક્તોને માત્ર એડવાન્સ બુકિંગના આધારે જ પ્રવેશ અપાશે.
એક કલાકમાં માત્ર ૨૫૦ ભક્તોને જ પ્રવેશ મળશે. બુકિંગ કરાવનારા ભક્તોને ક્યુઆર કોડ આપવામાં આવશે, જેના દ્વારા જ એન્ટ્રી મળી શકશે. દર્શન માટે સિદ્ધિ વિનાયક મંદિરની એપ પરથી બુકિંગ કરાવી શકાશે.
આ સિવાય ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. મંદિરે આવનારા દર્શનાર્થીઓનું ટેમ્પ્રેચર લીધા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે.
દર્શન માટેનું રજિસ્ટ્રેશન મંદિરની એપ પર ૬ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨ વાગ્યાથી શરુ થશે. ત્યારબાદ દર ગુરુવારે જ એપ પર એક સપ્તાહ દરમિયાન કોઈપણ દિવસ માટે બુકિંગ કરાવી શકાશે. આવતીકાલથી નવરાત્રી શરુ થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે મંદિરોને ખૂલ્લા મૂકવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે, તેમના પત્નિ અને પુત્રએ આજે મુંબઈ નામ જેના પરથી પડ્યુ છે તેવા મુંબાદેવીના મંદિરે દર્શન કર્યા હતા.