મુંબઈમાં રોજ ડાયાબિટીસના ૩૧ દર્દીઓના મોત થાય છે
મુંબઈ, મુંબઈમાં હાલ કોવિડ-૧૯ મહામારી અંકુશમાં છે ત્યારે મુંબઈગરાં માટે ડાયાબિટીસનો રોગ સાયલંટ કિલર સાબિત થઈ રહ્યો છે. બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ કોરોનાથી રોજ શહેરમાં ૪-૫ મોત થઈ રહ્યા છે ત્યારે ડાયાબિટીસથી મુંબઈમાં રોજ સરેરાશ ૩૧ વ્યક્તિના મોત નીપજે છે.
અત્રે નોંધવું ઘટે કે ગયા વરસે કોરોનાથી મૃત્યુ પામનાર કુલ દર્દીઓ પૈકી ૩૯ ટકા ડાયાબિટીસના પેશન્ટસ હતા. મુંબઈ મહાપાલિકાના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં દર પાંચમી વ્યક્તિ પ્રી- ડાયાબિટીક છે. સરળ ભાષામાં કહીએ તો આ લોકોના લોહીમાં સુગરનું પ્રમાણ વધુ આવ્યું છે. આ બધું ધ્યાનમાં રાખી બીએમસીએ એક અઠવાડિયામાં એક લાખ લોકોના સ્ક્રીનિંગનો ટાર્ગેટ રાખ્યો છે.
એક જાણીતા હાર્ટ સર્જનના જણાવવા મુજબ ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધુ સાયલંટ હાર્ટ એટેક આવવાનું જાેખમ હોય છે. એક સર્વેના નિષ્કર્શ મુજબ ડાયાબિટીસના ૩૦ ટકા દર્દીઓને અચાનક હાર્ટ એટેક આવે છે પરંતુ લોહીમાં સુગર વધુ હોવાથી એમને એટેકના દુખાવાની ખબર જ નથી પડતી.
બીજું, સામાન્ય દર્દીઓની તુલનામાં ડાયાબિટીસના પેશન્ટસને કોરોનરી ધમનીઓમાં બ્લોકેજ વધુ હોય છે. ભારતમાં દર વરસે બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટીના લગભગ ૧૦ લાખ ઓપરેશન થાય છે. એમાંથી ૮૦ ટકા દર્દીઓને ડાયાબિટીસ હોય છે.એટલે જ બીએમસીના સ્વાસ્થ્ય વિભાગે ૩૦ વર્ષથી વધુ વયના લોકોને વરસમાં કમસેકમ એકવાર ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.HS