મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલ સામે ગુનો નોંધવામાં આવ્યો
રાંચી, છત્તીસગઢના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે, કારણે કે મુખ્યમંત્રી અને તેમના પિતા વચ્ચે જ લડાઇ ઉભી થઇ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલ સામે સામાજિક સોહાર્દ બગાડવાના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ હતું કે કાયદાથી ઉપર કોઇ નથી.
ભલે પછી તે મુખ્યમંત્રીના પિતા કેમ ન હોય. મુખ્યમંત્રીના પિતા સામે ફરિયાદ નોંધાવવાનું કારણ એવું છે કે તેમણે બ્રાહ્મણો વિરુધ્ધ ટીપ્પણી કરી હતી. નંદકુમાર માટે આ કોઇ નવી વાત નથી તેઓ અગાઉ પણ બ્રાહ્મણો સામે ટીપ્પણી કરી ચુક્યા છે. નંદકુમારની ટીપ્પણી પછી બ્રાહ્મણોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે પોલીસ આ ટીપ્પણી સામે કાર્યવાહી કરે તે પછી પોલીસ એક્શનમાં આવી હતી.
ગયા મહિનામાં લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે ટીપ્પણી કરી હતી. તે વખતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હવે વોટ અમારો, રાજ તમારુ એવું ચાલશે નહી. અમે આંદોલન કરીશું અને બ્રાહ્મણોને ગંગાથી વોલ્ગા( રશિયાની એક નદી) મોકલી આપીશું, કારણ કે બ્રાહ્મણો વિદેશી છે. નંદલાલે કહ્યુ હતું કે બ્રાહ્મણો સુધરી જાય નહી તો વોલ્ગા જવા માટે તૈયાર રહે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદ કુમારની બ્રાહ્મણો પરની આવી ટીપ્પણી નવી નથી. ૨૦ વર્ષ પહેલાં પણ તેમણે બ્રાહ્મણ કુમાર રાવત કો મત મારો શીર્ષક હેઠળ પુસ્તક લખ્યું હતુ,જેના વેચાણ પર પછી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીના પિતા તરફથી કરવામાં આવેલી ટીપ્પણી પછી સર્વ બ્રાહ્મણ સમાજ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ પછી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ મુકવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે નંદકુમાર બઘેલ સામે કોઇ કાર્યવાહી નહીં થાય, કારણકે તેઓ મુખ્યમંત્રીના પિતા છે.
એ પછી ભૂપેશ બઘેલે કહ્યું હતુ કે તેમના પિતા દ્રારા કરવામાં આવેલી ટીપ્પણીને કારણે સામાજિક સદભાવનાને ઠેસ પહોંચી છે. આવી ટીપ્પણી કરવાનો અધિકાર કોઇને નથી, ભલે પછી તે મુખ્યમંત્રીના પિતા કેમ ન હોય. ભૂપેશ બઘેલે કહ્યું કે પોલીસ આ ટીપ્પણી સામે કાર્યવાહી કરે. એ પછી રાયપુર પોલીસ તરફથી ડીડીનગર ચોકીમાં નંદકુમાર બઘેલ સામે ગુનો નોંધાયો હતો.HS