મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત માં અંબાજીના દર્શન કર્યા

(માહિતી બ્યુરો, પાલનપુર) મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્ય મંત્રીશ્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોક ડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિન્દ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ લોક ડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે.
તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી, કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સંદીપ સાગલે, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, વહીવટદારશ્રી એસ.જે.ચાવડા, આસી.કલેકટરશ્રી પ્રશાંત જીલોવા, અગ્રણીઓ સર્વશ્રી બકુલેશભાઇ શુક્લ, શ્રી સુનિલભાઇ બ્રહ્મભટ્ટ, શ્રી દેવેન્દ્રભાઇ વ્યાસ, શ્રી મૃગેશભાઇ, શ્રી સુરેશભાઇ શુક્લ, મામલતદારશ્રી ચૌધરી અને વહીવટદાર કચેરીના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.