મૃત મરઘાઓનો ઢાઢર નદીમાં નિકાલ કરાતા પર્યાવરણના દુશ્મનો સામે કાર્યવાહી કરવા માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નજીક થી પસાર થતી ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.જેના કારણે ઢાઢર નદીની આજુબાજુ માં આવેલ ખેતરો સહિત માનવ વસ્તી સામે ખતરો ઉભો થયો છે.તો બીજી તરફ આસપાસમાં આવેલ મરઘા ઉછેર કેન્દ્ર મોટી માત્રામાં આવેલ હોય જેમાં મૃત થતા મરધાઓનો નિકાલ ઢાઢર નદીમાં નિકાલ કરવામાં આવતા પર્યાવરણ અમે જળ પ્રદુષણને નુકશાન થતા આવા તત્વો સામે કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.
ગુજરાતમાં બર્ડફલૂ જેવો ભયંકર રોગ અગાઉ જાેવા મળ્યો હતો.ત્યારે તાજેતરમાં જ ઉનાળાની ૪૩ ડિગ્રીના તાપમાન વચ્ચે મરધા ઉછેર કેન્દ્રમાં વધુ પ્રમાણમાં મરઘાના મોત થતા મૃતદેહોના નિકાલ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા માંથી પસાર થતી ઢાઢર નદીમાં નિકાલ કરવામાં આવતા નદીમાં મોટી માત્રામાં વસવાટ કરતા મગરો તેનું મારણ કરવા કાંઠા વિસ્તારમાં આવતા હોય છે અને જેને જાેવા માટે પુલ ઉપર મોટી માત્રામાં લોકો જાેવા ઉભા રહે છે.જેના પગલે મોટી માત્રામાં દુર્ઘટના પણ સર્જાવાનો ભય ઉભો થયો છે.
તો બીજી બાજુ મૃતક મરઘાઓનો નિકાલ કરાતા ઢાઢર નદીના પ્રદુષણ સામે પણ ખતરો ઉભો થતા તેમજ મૃતક મરઘાઓનું મગરો મારણ કરતા હોવાના કારણે મૃતક મરઘાની બિમારી મગરોને પણ લાગી જાય તેવો ભય ઉભો થતા સ્થાનિક રહીશ ચંદ્રકાન્ત જંબુસરિયાએ આ બાબતે ઢાઢર નદીમાં પર્યાવરણ અને જળ પ્રદુષણ થતું હોય અને આજુબાજુના ખેતરોમાં માનવ વસ્તી હોય જેથી મગરનો ભય ઉભો થયા હોવાના આક્ષેપ સાથે આમોદની ઢાઢર નદીમાં પર્યાવરણ અને જળ પ્રદુષણ અટકાવવા સાથે મૃતક પશુઓનો નિકાલ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નદીમાં મૃત મરધાઓનો નિકાલ કરવામાં આવતા પશુ દવાખાના સહિત આરોગ્ય વિભાગ દ્વારા આસપાસમાં વસવાટ કરતા લોકો અને પશુ તેમજ પ્રાણીઓના આરોગ્યની ચકાસણી કરે તે જરૂરી બન્યું છે.