મે મહિનાથી ગુજરાતમાં પ્રથમ તબક્કાની વસતી ગણતરી
અમદાવાદ: ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી ૨૦૨૧એ ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે. ગજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જુન-૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ગુજરાતમાં સૌ પથ્રમવાર વસતી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે એમ, વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડા. સંચિતા સરકાર દ્વારા જણાવાયું છે. ડા. સરકારે ઉમેર્યું કે, ભારતની વસતી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે.
ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલુ જ નહીં પુર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે.
આગામી ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘરયાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે.
વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ ૨૦૨૧ના સીએમએમએસ પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસતી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે. ડા. સરકારે ઉમર્યું કે, ગુજરાતમાં હાથ ધરાનાર વસતી ગણતરી સંદર્ભે પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું તા. ૧૮ થી ૨૩ નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે,
જેનું ઉદઘાટન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર અને સ્ટેટ કો-ઓર્ડિનેટર (સેન્સસ) આરજે માંકડિયાએ કર્યું હતું. જેમાં જીએડી પ્લાનીંગના સંયુકત સચિવ જેજે પટેલ, જીઆઇડીએમના ડાયરેકટર સંજય જોષી, રાષ્ટ્રીય પ્રશિક્ષક ડા. ભાવેશ મહેતા, સુશ્રી શિલ્પાબેન પરમાર, સંયકત નિયામક વસતી ગણતરી આરએઇ જૈન, નાયબ નિયામક જીએલમીના, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક કચેરીના નાયબ નિયામક મનીષ ગામીત સહિતના અધિકારીઓ તાલીમાર્થઓને તાલીમ આપી રહ્યા છે. આ તાલીમમાં અંદાજિત ૨૫ જિલ્લાના ૫૬ માસ્ટર ટ્રેનરો પ્રશિક્ષાર્થી તરીકે હાજરી આપી રહ્યા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.